દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પૂર્વે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનને ચાંદીનો રથ અર્પણ કરાયો.
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જોવા મળી હિન્દુ-મુસ્લિમ એકતા
દર વર્ષની જેમ મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ મંદિર અર્પણ કરાયો
રથયાત્રાને લઈને મંદિર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શહેરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ત્યારે કોરોનાના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ન હોતી નીકળી. ત્યારે હવે ફરીવાર અમદાવાદમાં બે વર્ષ બાદ 145મી રથયાત્રા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવાયો છે. એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં એકવાર ફરી હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી છે.
મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કરાયો
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મીલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. આ અવસરે જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથજી માટે પ્રતીકાત્મક ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. ભગવાન જગન્નાજીની રથયાત્રા દરમ્યાન કોમી એખલાસ જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજી મંદિરને ચાંદીના રથની ભેટ અપાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિર પહોંચીને મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.
મહત્વનું છે કે, અમદાવાદની 145મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતનું સૌથી મોટું બંદોબસ્ત કહેવાતા રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવાયો છે. સ્થાનિક પોલીસથી માંડીને સેન્ટ્રલ સિક્યુરીટી ફોર્સે અત્યારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળી લીધો છે. પરંતુ આ વર્ષે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત જોવા મળશે.
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સર્વેલન્સ હવામાંથી કરવામાં આવશે. એટલે કે ડ્રોન થી બાજ નજર રખાશે. બીજી તરફ બોડીઓન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. આ સાથે સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.
શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજાનો સમાવેશે આજે પણ સંવેદનશીલ વિસ્તારમાં થાય છે. જેને લઇને આ વિસ્તારોમાં 100થી વધુ હાઈ રિઝોલેશન વાળા કેમેરા, બોડીઓન કેમેરા અને ડ્રોનથી બાજ નજર રાખવામાં આવશે. આ તમામ કેમેરાનું મોનિટરિંગ કમિશનર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમ, જગન્નાથ મંદિર અને તંબુ ચોકી ખાતે કરાશે. પોલીસે અત્યારથી રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. જો કે છેલ્લા એક મહીનાથી શહેરમાં ધાબા ચેકિંગ અને વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.