શ્રીનગર: કાશ્મીર એક એવો સળગતો મુદ્દો છે જેના પર વર્ષોથી રાજકીય રોટલા સેકાઇ રહ્યા છે. દેશની એકતા અને અખંડીતતાને નેવે મુકીને કોંગ્રેસના નેતા સૈફુદ્દીને ફરી એકવાર કશ્મીરની આઝાદીનો રાગ આલાપ્યો અને મુશર્રફના સિદ્ધાંતને મીડિયા સમક્ષ બ્રહ્મવાક્ય ગણાવીને વિવાદ ઉભો કરી દીધો.
તો કશ્મીરમાં ધળધળતી બંદૂકો વચ્ચે વધુ એક બફાટ અને ત્યાર પછી આરોપોનો ઘોંઘાટ. છેલ્લા સાત દાયકાથી કશ્મીરની સ્થિતિનો ઉકેલ ભલે ન આવ્યો હોય. પરંતુ અફસોસ એ વાતનો પણ છે કે જવાનોના જનાજા ઉઠવાના બંધ નથી થયા અને આવી સ્થિતિમાં પણ કોંગ્રેસના નેતાનું નિવેદન સવાલો ઉભા કરે તેવું છે.
કોણ છે સૈફુદ્દીન સોઝ?
વર્ષ 1983માં નેશનલ કોન્ફરન્સ તરફથી ચૂંટણી લડીને સાંસદ બન્યા.
નેશનલ કોન્ફરન્સના ચિન્હ પર ચૂંટણી લડીને 4 વખત રહી ચુક્યા છે સાંસદ.
વર્ષ 1999માં વાજપેયી સરકાર વિરુદ્ધ મતદાન કરતા રાજીનામુ આપવું પડયું.
વર્ષ 2003માં કોંગ્રેસમાં જોડાયા અને રાજ્ય સભાના સભ્ય બન્યા.
વર્ષ 2006થી 2009 સુધી કેદ્રીય જળ સંસાધન મંત્રી રહ્યા.
કશ્મીરની સ્થિતિ પર 4 પુસ્તક લખી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે સૈફુદ્દીનનું કાશ્મીર પર 5મું પુસ્તક આવતા સપ્તાહે પ્રકાશિત થશે એટલે બની શકે છે કે પુસ્તકના વેચાણ માટે કાશ્મીર પર નિવેદન આપીને ચર્ચામાં આવવા માગતા હોય. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે બે દાયકા સુધી જે વ્યક્તિ સાંસદ રહ્યો તે મુશર્રફની નીતિનું ખુલ્લેઆમ સમર્થન કરે તો આ નિવેદન ન માત્ર અશોભનિય ગણી શકાય પરંતુ બેજવાબદારી ભર્યું કહેવાય. એટલે કે સૈફુદ્દીનના નિવેદન બાદ ભાજપે આક્ષેપોનો મારો ચલાવ્યો.
કશ્મીરના કુમળા વિવાદ પહેલા ગુલામ નબી આઝાદે બફાટ કર્યો અને સેનાની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. તો 48 કલાકમાં જ સૈફુદ્દીન જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાના મુખેથી બીજો વિવાદ ઉભો થતાં રાષ્ટ્રવાદના નામે કોંગ્રેસ ઘેરાઇ ગઇ છે.