મોરબીના સમીકાંઠામાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા નામના યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ યુવકને સમાધાન માટે બોલાવવામાં આવ્યો.
આ દરમિયાન યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ધ્રુવકુમારસિંહની હત્યા કરીને શખ્સો ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે.
જેમાં એક સપ્તાહમાં 10થી વધુ હત્યાના બનાવ સામે આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં ખૂનામરકી વધી રહી છે. નાની નાની વાતોમાં લોહી તરસ્યા લોકો જીવ લેતા ખચકાતા નથી. કચ્છના ખાવડા ગામમાં એક યુવાનની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ખાવડા ગામના બસ સ્ટેન્ડની છે, જ્યાં જાહેરમાં જ એક યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે..