અમદાવાદના નારોલમાં મોડી રાત્રે એક યુવકની હત્યા કરી દેવાઇ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે નારોલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે. એવું કહેવાય છે કે, મોબાઈલ ચોરીની આશંકાએ યુવકને માર મરાયો હતો. બોથડ પદાર્થ વડે યુવકને માર મારતા યુવકનું મોત નિપજ્યું હતું. જો કે, પોલીસે આરોપીઓની ધરપકડ કરી લેતા આ મામલે ઝડપથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ અમદાવાદમાં પ્રેમ સંબંધને લઈને પણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પિતરાઇ બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં ભાઈએ પડોશી યુવકનું તલવારથી ગળું કાપી નાખ્યું છે. મળતી માહિતી મુજબ, બે વર્ષ પહેલા યુવકનો આરોપીઓની પિતરાઇ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આરોપીએ યુવકને ગળાની પાછળ અને ડાબા ભાગે તલવારના ઘા માર્યા હતાં. જો કે, હુમલા બાદ લોકો ભેગા થઇ જતા બંને આરોપી નાસી છૂટ્યા હતા. હાલમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. હાલ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વધુ એક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં છેડતી બાબતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા નિપજાવનાર મુખ્ય આરોપીની પોલીસે પકડી પાડ્યો છે. યુવતીની છેડતી કરતા વ્યક્તિ સાથે પિતા અને ભાઈને માથાકૂટ થતા તેમાં પિતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે ભાઈની હાલત ગંભીર છે. પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.