રાજકોટના નવનિયુક્ત ACP રાજેશ બારીયાના પિતાની પાવડાના ઘા મારીને કરાઇ હત્યા, હત્યાને અકસ્માત બનાવવા માટે પુલ પરથી એકટીવા ફેંક્યું, ACP રાજેશની વડોદરાથી પ્રમોશન સાથે રાજકોટમાં નિયુક્તિ
ACP રાજેશ બારીયાના પિતાની હત્યા
નર્મદામાં ચાર શખ્સોએ કરી હત્યા
મોતને અકસ્માતમાં ગણાવવાનો પ્રયાસ
રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યા કરાઈ છે. ACP રાજેશ બારીયાની પ્રમોશન સાથે રાજકોટમાં નિયુક્તી થઈ છે. આ અગાઉ રાજેશ બારિયા વડોદરામાં PI તરીકેની ફરજ બજાવતા હતા. ACP તરીકે બદલીના એક દિવસ અગાઉ જ તેમના પિતાની રૂપિયાની લેતી-દેતી મામલે હત્યા કરાઈ હતી. આ હત્યાને તેમના વતન નર્મદામાં અંજામ આપવામાં આવ્યો હતો. ACPના પિતાની નર્મદામાં પાવડાના ઘા મારી હત્યા કરાઈ છે. મોતને અકસ્માતમાં ફેરવવા માટે પુલ પરથી એકટીવા ફેંક્યું હતું. જો કે, પોલીસે તપાસમાં તુરંત જ આ હત્યા હોવાનું અનુમાન લગાવી 4 લોકોની ધરપકડ કરી લીધી છે.
ACP રાજેશ બારિયાની રાજકોટમાં મહિલા પોલીસ સેલમાં નવનિયુક્તિ થઈ હતી. આ નિયુક્તિની સાથે તેમના માટે એક દુઃખદ સમાચાર પણ સામે આવ્યા હતા. ACP રાજેશનું મૂળ વતન નર્મદા જિલ્લાના તિલકવાડાના માંગુ ખાતે છે. જ્યાં તેમના પિતાએ કેટલાક લોકોને નાણા ઉછીના આપ્યા હતા. તેમના પિતાનું નામ સનાભાઈ નાનાભાઈ બારિયા હતું.
જ્યારે ઉછીના રૂપિયા પાછા લેવા જતા યુવકે ACPના પિતા સાથે ઝઘડો કર્યો હતો. અને ઝઘડાનો ખાર રાખી યુવકે હુમલો કરવાનો પ્લાન કર્યો હતો. જે દિવસે ACPના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે સનાભાઈ બારિયા પર 4 શખ્સોએ પાવડાના ઘા મારી હત્યા કરી હતી. ACPના પિતાના મોંઢાના ભાગે ઘા માર્યાના નિશાન પણ સામે આવ્યા હતા. આ બાદ સમગ્ર ઘટનાને એક અકસ્માતનું સ્વરૂપ આપવા માટે ચારેય શખ્સો દ્વારા સનાભાઈ અને તેમના એક્ટિવાને પુલ પરથી ફેંકી નાસી ગયા હતા.
રાજકોટના મહિલા પોલીસ મથકમાં ACP તરીકે પોસ્ટિંગ મેળવનારા રાજેશ બારિયાનું મૂળ વતન નર્મદા જિલ્લાનું તિલકવાડા છે. સૌ પ્રથમ તેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે વિભાગમાં જોડાયા હતા. જે બાદ વર્ષ 2001માં તેમણે પરીક્ષા પાસ કરીને વિભાગમાં PSIનો રેન્ક મેળવ્યો હતો. PSIમાંથી સમયાંતરે PI તરીકે બઢતી પ્રાપ્ત કરી હતી. અનેક જિલ્લામાં PI તરીકે કામગીરી કર્યા બાદ છેલ્લા 3 વર્ષથી વડોદરાના પાણીગેટ, હરણી અને ફતેગંજ પોલીસ મથકમાં ફરજ બજાવી હતી. અને આશરે ત્રણ દિવસ અગાઉ તેમને રાજકોટમાં ACP તરીકે બઢતી સાથે બદલી મળી હતી. આ દરમિયાન જ તેમના પિતા પર હુમલો અને હત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.