સ્વચ્છ પર્યાવરણનો મૂળભૂત અધિકાર આપણને બંધારણ દ્વારા બક્ષવામાં આવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ પર્યાવરણના સંરક્ષણ માટે સતત હિમાયત કરી રહ્યું છે. આપણા વડા પ્રધાન પણ પર્યાવરણ સુરક્ષાને પ,૦૦૦ વર્ષ જૂની પરંપરા દર્શાવતાં થાકતા નથી. આ બધા વચ્ચે એક વરવી હકીકત એ પણ છે કે આ દેશના નવા સંસ્કરણ ન્યૂ ઇન્ડિયામાં ગેરકાયદે ખનન, જંગલોનું નિકંદન, બંધ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા કર્મશીલો, સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવાની માગણી કરનારા કાર્યકરો પર પોલીસ, ભૂમાફિયા અને સરકારી સંરક્ષણ પ્રાપ્ત હત્યારા ગોળીઓ ચલાવે છે. ક્યારેક ટ્રેક્ટર ફેરવી દે છે અથવા તો માર્ગ અકસ્માત કરાવે છે.
વિડંબના એ વાતની છે કે પર્યાવરણ સંરક્ષણની વાત કરનાર સરકારની નજર હેઠળ ન્યૂ ઇન્ડિયામાં આવું બધું મોટા પાયે કરવામાં આવી રહ્યું છે અને દુનિયાભરમાં ર૧ દેશની એ યાદીમાં ભારતનો સમાવેશ કરાયો છે કે જ્યાં પર્યાવરણ સંરક્ષકોની મોટા પાયે હત્યા કરવામાં આવી રહી છે. આ નવા રિપોર્ટ અનુસાર એવું બહાર આવ્યું છે કે વિશ્વના કેટલાય દેશોમાં જંગલો અને ધરતીને બચાવવા માટે સક્રિય પર્યાવરણ સંરક્ષકોની હત્યામાં વધારો થઇ રહ્યો છે.
ખાસ કરીને લેિટન અમેરિકન દેશોમાં પ્રકૃતિના સંરક્ષકોનો જાન લેવામાં આવી રહ્યો છે. લંડન સ્થિત ગ્લોબલ વિટનેસ નામના એક એનજીઓએ પોતાના અદ્યતન અહેવાલમાં જણાવ્યું છે કે દુનિયાભરમાં પર્યાવરણ સંરક્ષકો અને કર્મશીલોની હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. એકલા ર૦૧૯માં જ વન પ્રદેશ અને પૃથ્વીને બચાવવામાં સક્રિય એવા ર૧ર પર્યાવરણ સંરક્ષકની હત્યા થઇ હતી, જે ર૦૧૮ની તુલનાએ ૩૦ ટકા વધારો દર્શાવે છે.
બ્રિટનની સંસ્થાનો રિપોર્ટ થયો વાયરલ
બ્રિટનની આ એકમાત્ર સંસ્થા હતી કે જેનો રિપોર્ટ વાઈરલ થયો હતો, બાકી દેશની અન્ય સરકારી સંસ્થાઓ તો પર્યાવરણ બચાવનારાની કરવામાં આવેલી હત્યાને એક સામાન્ય મૃત્યુમાં જ ખપાવે છે. રિપોર્ટ અનુસાર દક્ષિણ અમેરિકામાં આ રીતે સૌથી વધુ હત્યા કરવામાં આવી છે. અહીં બેતૃતીયાંશથી પણ વધુ હત્યા થઈ છે અને તેમાં પણ કોલંબિયામાં ૬૪ અને ફિલિપાઈન્સમાં ૪૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. પર્યાવરણ બચાવવા માટે કામ કરનારા લોકો માટે આ દુનિયાના સૌથી વધારે ખતરનાક કરતાં પણ જોખમી દેશો માનવામાં આવે છે.
એકલા એમેઝોન ક્ષેત્રમાં ૩૩ મૃત્યુની નોંધ કરવામાં આવી છે અને બ્રાઝિલમાં થયેલાં ૨૪ મૃત્યુમાંથી ૯૦ ટકા મૃત્યુ એમેઝોનમાં થયાં છે. ૨૦૧૮માં હોંડુરાસમાં ૪ પર્યાવરણ સંરક્ષકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ૨૦૧૯માં આ આંકડો વધીને ૧૪ જેટલો થઈ હતો.
નર્મદા નદી પર બંધ બાંધવાના પ્રોજેક્ટનો વિરોધ
ભારતની વાત કરીએ તો હંસદેવ હરણ્યમાં માઈનિંગનો વિવાદ હજુ પણ તાજો જ છે અને નર્મદા નદી પર બંધ બાંધવાના પ્રોજેક્ટનો વિરોધ ચાલી રહ્યો છે. ભારતમાં ભલે મરનારાની સંખ્યા છ જ છે પણ એવા હજારો લોકો છે કે જેમના પર ખોટા કેસ દાખલ કરી તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે. હંસદેવ હરણ્યમાં ખનન બાબતે પણ આદિવાસીઓએ વિરોધ કર્યો હતો એ વખતે તેમના પર પોલીસ પર હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. સ્થાનિક સમુદાય જ્યારે જંગલમાં ગેરકાયદે કરવામાં આવતી વૃક્ષોની કત્લેઆમ કે ખોદકામનો વિરોધ કરે છે ત્યારે તેમને માઓવાદી, ઉગ્રવાદી કે નક્સલવાદીનું નામ આપીને એન્કાઉન્ટરમાં ખતમ કરી નાખવામાં આવે છે.
રિપોર્ટમાં કરાયો દાવો
રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવે છે કે સૌથી વધારે હત્યા ખનન, બંધ, હાઈડ્રોકાર્બન પ્રોજેક્ટ અને કૃષિ આધારિત ઉદ્યોગોનો વિરોધ કરવા માટે થાય છે. ખરેખર આ આંકડા ચોંકાવનારા છે અને એના કરતાં પણ વધારે તે દુ:ખ પહોંચાડનારા છે કે જે લોકો પર્યાવરણની કિંમત સમજીને તેને બચાવી રહ્યા છે તેમના જાનની કોઈ જ કિંમત નથી. આમ, હવે વેધક પ્રશ્ન ઊભો થયો છે કે પર્યાવરણ બચાવનારને કોણ બચાવશે? પ્રદૂષણ અને પર્યાવરણના વિનાશથી દુનિયાભરમાં લોકો મરી રહ્યા છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ અનિવાર્ય અને આવશ્યક બનવું જોઇએ.