શહેરના રામોલમાં આવેલા જનતાનગરમાં બે ગેંગ વચ્ચે હિંસક અથડામણ થયા બાદ એલજી હોસ્પિટલમાં આ જ ગેંગ વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં બે યુવકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જનતાનગરમાં થયેલી અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા એક યુવકનું હોસ્પિટલમાં મોત થયા બાદ તેની ગેંગના લોકો ઉશ્કેરાયા હતા અને રીતસરનો એલજી હોસ્પિટલમાં આતંક મચાવીને ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા.
હિંસક બનેલા લોકોએ જનતાનગરમાં થયેલી અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા એક યુવક પર એલજી હોસ્પિટલમાં જ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં ગુંડાગીરી પર ઊતરી આવેલા ૧પ૦ કરતાં વધુના ટોળા સામે સિક્યોરિટી ગાર્ડ પણ લાચાર બની ગયા હતા અને દર્દીઓ અને તેમનાં સગાં પણ ફફડી ઊઠ્યાં હતાં. મોડી રાતે એલજી હોસ્પિટલ થોડાક સમય માટે ગુંડાઓના હવાલે થઇ જતાં બોિલવૂડના મૂવી જેવાં દૃશ્ય સર્જાયાં હતાં.
રામોલ વિસ્તારમાં આવેલા જનતાનગરમાં રહેતા અમાનુલ્લાખાન પઠાણે રામોલ પોલીસ સ્ટેશનમાં શમશેર ઉર્ફે બલ્લી યાસીનભાઇ શેખ, યાસીન શહેઝાદ શેખ, શાહનવાઝ ઉર્ફે શહાનુ શરીખાન પઠાણ અને ઇસરાક ઉર્ફે દબંગ નિસારમિયાં પઠાણ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે.
ગઇ કાલે રાતના નવ વાગ્યાની આસપાસ અમાનુલ્લાખાન પઠાણ નમાજ પઢવા માટે ગયા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા હતા કે જનતાનગર બગીચામાં શમશેર ઉર્ફે બલ્લી, યાસીન, શાહનવાઝ સહિતના લોકોએ તમારા પુત્ર રમીઝખાન પર ધાિરયા તેમજ છરીથી હુમલો કર્યો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રમીઝખાન પઠાણ અને શમશેરખાન પઠાણ વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી, જોકે આ અદાવતને ધ્યાનમાં રાખીને શમશેરખાન પઠાણે રમીઝખાન પઠાણ પર મોડી રાતે હુમલો કર્યો હતો.
રમીઝખાન પર થયેલા હુમલાનો બદલો લેવા માટે સરફરાઝ ઉર્ફે દાઢી પઠાણ અને વસીમ અમાનુલ્લાખાન પઠાણ શમશેરને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે શમશેરખાનનાે ભાઇ આમિરખાન તેમના હાથે આવી ગયો હતો અને તેના પર ધાિરયા વડે હુમલો કર્યો હતો. આમિરખાન પર ધાિરયા વડે હુમલો થતાં તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રમીઝખાન પર હુમલાના સમાચાર મળતાં ૧પ૦ કરતાં વધુ લોકો એલજી હોસ્પિટલમાં ઊમટી પડ્યા હતા. હોસ્પિટલમાં રમીઝખાનનું ટૂંકી સારવાર બાદ મોત થતાં ટોળાં ઉશ્કેરાયાં હતાં.
દરમિયાનમાં આમિરખાનને પણ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. રમીઝખાનના મોતથી રોષે ભરાયેલા ટોળાએ ટ્રોમા વોર્ડ પર જ આિમર પર હિંસક હુમલો કરીને તોડફોડ મચાવી હતી. ટોળાએ રીતસરની ગુંડાગીરી કરીને હોસ્પિટલ બાનમાં લીધી હતી અને આિમરના માથા પર લોખંડની ખુરશીઓ મારી તેને લોહીલુહાણ કરી દીધો હતો. ટોળાએ આિમરખાનને ઘસડીને અલગ અલગ જગ્યાએ લઇ જઇને માર્યો હતો.
ટોળાએ આમિરખાનને એટલી હદે માર માર્યો હતો કે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું, જેને તાત્કાિલક સારવાર માટે આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બન્ને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અદાવત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રમીઝખાન ફિરોજશક્તિ ગેંગનો સભ્ય છે અને તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે, જ્યારે શમશેર પણ તેની હરીફ ગેંગનો સભ્ય છે. ગેંગ વોરમાં થયેલી હિંસામાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. રમીઝખાન અને આમિરખાન પર હુમલો થયો તેમાં પોલીસ ઘટનાસ્થળ તેમજ એલજી હોસ્પિટલમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો નહીં, જેના કારણે આ લોહિયાળ અથડામણ થઇ છે.
પોલીસને પહેલાંથી ખબર હતી કે રમીઝખાન અને શમશેરખાન વચ્ચે જૂની અદાવતથી ગેંગ વોર ચાલી રહી છે તે છતાંય પોલીસે સમગ્ર ઘટનાને હળવાશથી લીધી છે. રામોલ પોલીસે રમીઝની હત્યા બદલ ચાર લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે જ્યારે આિમર પર હુમલા બદલ બે યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે તો મિણનગર પોલીસે આિમરની હત્યા બદલ પાંચ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.