શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે ફ્રીજ લેવા જેવી સમાન્ય બાબતે પૌત્રએ તેની માતા સાથે મળીને દાદાની ઘાતકી હત્યા કરીને કાકા પર ખૂની હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. મોડી રાત્રે ખેલાયેલા આ ખૂની ખેલમાં પોલીસે માતા-પુત્ર અને અન્ય એક યુવક વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મોનોગ્રામ મિલની ચાલીમાં રહેતા શરદકુમાર હરિકેશ બહાદુર ઠાકુર રખિયાલ પોલીસ સ્ટેશનમાં તેના ૧૭ વર્ષના ભત્રીજો, ભાભીને અન્ય એક યુવક વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે શરદકુમાર તેના પિતા હરિકેશ બહાદુર ઠાકુર અને ભાઇ પવન ઉર્ફે પંકજ સાથે રહે છે.
શરદકુમારનો અન્ય એક ભાઇ સંજય તેની પત્ની અંજલિ અને ૧૯ વર્ષિય દીકરી માનસી તેમજ ૧૭ વર્ષના પુત્ર સાથે મોનોગ્રામ મિલની ચાલીમાં અલગથી રહે છે. શરદકુમાર રિક્ષા ચલાવે છે જ્યારે પવન એક કંપનીમાં નોકરી કરે છે. જ્યારે સંજય હાલ પાસા હેઠળ જેલમાં છે. શરદ અને પવને લગ્ન કર્યાં નથી. જેથી તે બન્ને જણા પિતા હરિકેશ બહાદુર સાથે રહે છે.
સંજય પાસા હેઠળ હોવાથી અંજલિ અને તેમનાં સંતાનોની સારસંભાળ બન્ને ભાઇઓ રાખતા હતા. હરિકેશ બહાદુર, પંકજ અને શરદ ભલે અલગ મકાનમાં રહેતા હતા પરંતુ તેઓ જમવા માટે અંજલિ પાસે આવતા હતા. છેલ્લા બે દિવસથી જમવાના મામલે અંજલિ તેમજ પંકજ, શરદ અને હરિકેશ બહાદુરને ઝઘડો થયો હતો.
જમવા બાબતે ઝઘડો થતાં ત્રણેય જણા બે દિવસથી બહાર જમવા માટે જતા હતા. ગઇકાલે મોડી રાત્રે અંજલિ સસરા હરિકેશ બહાદુરના ઘરે પહોંચી હતી. જ્યાં તેણે શરદ અને પંકજને તેનું ફ્રીજ આપી દેવા માટેની વાત કરી હતી.
અંજલિ જતાંની સાથે જ શરદને કહ્યું હતું કે મારું ફ્રીજ તમારા ઘરમાં છે તે મને આપી દો. અંજલિની વાત સાંભળતાં જ શરદે તેમને કહ્યું હતું કે ભાભી તમારું ફ્રીજ છે તમે લઇ જાઓ.
શરદની વાત સાંભળતાંની સાથે જ અંજલિ એકદમ ઉશ્કેરાઇ હતી અને સસરા હરિકેશ અને દિયર પંકજની સામે શરદને ગાળો ભાંડવાની શરૂ કરી દીધી હતી. અંજલિ સાથે તેને સગીર વયનો પુત્ર અને અન્ય એક યુવક પણ હાજર હતો. શરદે ગાળો બોલાવાની ના પાડતાં અંજલિએ તેના પર હુમલો કરી દીધો હતો. અંજલિના પુત્રએ પણ કાકાને ફેંટો મારવાનું શરૂ કરી દીધું હતું.
આ ઘટના જોઇને હરિકેશ બહાદુર અને પંકજ તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. મારી માતાને કેમ મારો છો તેમ કહીને સગીરે તેના દાદા પર હુમલો કરી દીધો હતો અને તેની પાસે રહેલી છરી કાઢીને તેમના પર હુલાવી દીધી હતી.
દાદા હરિકેશના પેટમાં છરી વાગતાં તે જમીન પર ઢળી પડયા હતા જ્યારે સગીરે તેના કાકા પંકજ ઉપર પણ છરી હુલાવી દીધી હતી. પંકજને પણ પેટમાં છરી વાગતાં તે જમીન પર પડી ગયો હતો.
આ ઘટનાથી બુમાબુમ થઇ જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેમાં અંજલિ તેના પુત્ર અને યુવક સાથે નાસી છૂટી હતી. સ્થાનિકો ઇજાગ્રસ્ત હરિકેશ બહાદુર અને પંકજને રિક્ષામાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જ્યાં તબીબોએ હરિકેશ બહાદુરને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પંકજની સારવાર શરૂ કરી હતી. હત્યાની જાણ થતાં રખિયાલ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે અંજલિ સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ચોંકવાનારી વાત એ છે કે અંજલિ જ્યારે તેના સસરા અને દિયરને મળવા માટે ગઇ ત્યારે તેના પુત્ર પાસે છરી હતી એટલે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને આ હુમલો કરવામાં આવ્યો હોય તેવું પોલીસ માની રહી છે.