રાજ્યમાં ખૂનામરકી વધી રહી છે. નાની નાની વાતોમાં લોહી તરસ્યા લોકો જીવ લેતા ખચકાતા નથી. જ્યારે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં ચપ્પુના ઘા અને લાકડીના ફટકા મારી રીબાવી રીબાવીને અજાણ્યા શખ્સોએ એક યુવકની હત્યા કરી છે.
સુરત શહેરમા દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના નાનપુરા દયાળજી ગાર્ડન પાસે યુવાનની હત્યા થઈ છે. ખલીલ ગુલામ બહાદુર શેખ નામના ઈસમની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે.
સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, નાનપુરા દયાળજી ગાર્ડન પાસે અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીકી કરી યુવકની હત્યા pic.twitter.com/VNG0hVwQpb
ચપ્પુના ઘા અને લાકડાના ફટકા મારીને અજાણ્યા શખ્સોએ ખલીલ ગુલામ બહાદુર શેખની હત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગરમાં છેલ્લાં 5 દિવસમાં દરરોજ 4 હત્યા
તો આ બાજુ સૌરાષ્ટ્રમાં ખૂનામરકી દિવસે ને દિવસે સતત વધી રહી છે. માત્ર નાની નાની વાતોમાં લોહી તરસ્યાં લોકો જીવ લેતા ખચકાતા નથી. ભાવનગરમાં છેલ્લાં 5 દિવસમાં 4 ખૂન થયાં છે. જાણે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ હોય તેમ છેલ્લાં 5 દિવસમાં દરરોજ 4 હત્યા થઈ છે.
એક બિલ્ડીંગ કોંન્ટ્રાક્ટર તરીકે કામ કરનાર યુવકની શનિવારે હત્યા થઈ તો, સસરાની મદદ કરવા પહોંચેલા એક જમાઈનું પણ મર્ડર થઈ ગયું. તેવી જ રીતે પવિત્ર ધામ સિદસરમાં ભૂવાને પણ ગુનાખોરોએ ના છોડ્યાં. ભૂવાની પહેલાં તો લૂંટ થઈ અને ત્યાર બાદ તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં.
રાજકોટમાં પણ હત્યા
રાજકોટમાં પણ બે દિવસ પહેલાં વધું એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. માંડાડુંગર વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકી અને હત્યા કરી દેવાઇ હતી. છેડતી બાબતે ઠપકો આપ્યા બાદ મોરારી મકવાણા નામના યુવકની હત્યા કરી દેવાઇ હતી. ત્યારે ચાર શખ્સો દ્વારા હુમલો કર્યો હોવાની આશંકા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં બે હત્યા
તો આ તરફ સુરેન્દ્રનગરમાં સગા દીકરાએ જનેતાને ધારીયાનાં ઘા મારી હત્યા કરી નાખી. સુરેન્દ્નનગરમાં વ્યાજખોરોનો આતંક હજુ પણ બરકરાર છે. માત્ર 20 હજાર રૂપિયા માટે એક મુસ્લિમ યુવકની હત્યા થઈ. ગુનાખોરો રાત્રી અને દિવસે પોલીસ માટે પડકારજનક બની રહ્યાં છે. લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે અને એક તરફ કાયદાનું શાસન હોવાની વાતો થઈ રહી છે. આ બંને દ્રશ્યોમાં છેલ્લાં 5 દિવસમાં 7 લોકોનાં માત્ર બે જિલ્લાઓમાં મોત થયાં તે એક શરમજનક બાબત કહેવાય.