ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદમાં બંધક બનાવેલા 23 બાળકોને પોલીસે સુરક્ષિત છોડાવી લીધા છે. આ દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી સુભાષ માર્યો ગયો છે. કાનપુર રેન્જ આઇજી મોહિત અગ્રવાલે સુભાષ માર્યો ગયાની પુષ્ટિ કરી છે. આ ઓપરેશનમાં 5 પોલીસકર્મી સહિત 6 લોકો ઘાયલ થયા છે. આરોપી સુભાષના ઘરમાંથી હથિયારો પણ મળી આવ્યા છે.
ફર્રુખાબાદમાં બંધક બનાવેલા તમામ બાળકો સુરક્ષિત
એન્કાઉન્ટરમાં માર્યો ગયો આરોપી સુભાષ
સુભાષે 23 બાળકોને બનાવ્યા હતા બંધક
આ તમામ પોલીસકર્મીઓ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇનામની જાહેરાત કરી છે. ઓપરેશનમાં સામેલ થનાર પોલીસ ટીમને 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે પોલીસને પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે.
મહત્વનું છે કે, આરોપી સુભાષે ડીએમના નામે એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેને જણાવ્યું હતું કે પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર અને શૌચાલય આપવાનો ઇનકાર કર્યો હતો. એક અન્ય અધિકારીઓને ફરિયાદ કરવા પર પણ કોઇ કાર્યવાહી થઇ ન હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનાથી નારાજ થઇને બાળકોને બંધક બનાવ્યા હતા.
ઉત્તરપ્રદેશના ફરૂખાબાદમાં ગઇકાલે એક શખ્સે મકાનમાં 15થી વધુ બાળકો ગોંધી રાખતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મકાનમાં કેટલીક મહિલા પણ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં આ શખ્સ મકાનમાંથી થોડી-થોડી વારે ફાયરિંગ પણ કરી રહ્યો હતો.
મકાનમાંથી એક બોમ્બ પણ ફેંક્યો હતો. જેના કારણે કેટલાક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ શખ્સને સમજાવવા માટે ગયેલા વ્યક્તિ પર પણ તેણે ફાયરિંગ કરી દીધું હતું. જેના કારણે પોલીસની મુશ્કેલી વધી હતી.