એક તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના તમામ વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવાઇ રહ્યાં છે. જોકે અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટરો હોતા નથી તેમજ જોઇતી દવા મળતી નથી. જેવી અનેક ફરિયાદો છાશવારે ઊઠે છે. જોકે સરખેજ અર્બન હેલ્થ સેન્ટર તંત્રનું એક મહત્ત્વપૂર્ણ અર્બન હેલ્થ સેન્ટર હોવા છતાં ત્યાં આજે પણ દર્દીઓના હાલ બેહાલ થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓને અપાતી, સુવિધા, સારવાર અને સ્ટાફના દર્દીઓ સાથેના વર્તન વ્યવહાર વગેરે મામલે દર્દીઓ કે તેમના સગાં-સંબંધીઓ પાસેથી મહત્વનું ફિડબેક મેળવવા માટે તંત્ર દ્વારા ક્યુઆર કોડ સિસ્ટમ અમલી બની હતી.
આ સિસ્ટમ આધારિત મળેલા ફિડબેકમાં અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓ અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દર્દીઓને રજિસ્ટ્રેશન કાઉન્ટર પર નોંધણી માટે ખાસ્સો સમય રાહ જોવી પડે છે. ડોકટરો અને સ્ટાફની વર્તણૂકથી પણ દર્દીઓ નાખુશ છે. દવાઓની ઉપલબ્ધતા માટે કયુઆર કોડ આધારિત સર્વેમાં અમુક અંશે દર્દીઓએ સંતોષ
વ્યક્ત કર્યો છે.
આપને જણાવી દઇએ કે, લેબોરેટરી અને રેડિયોલોજી તપાસની સુવિધા પણ એકંદરે સંતોષજનક છે. જોકે હોસ્પિટલની સુરક્ષામાં અનેક છીંડાં હોવાનું સર્વે રિપોર્ટમાં બહાર આવ્યું છે. અર્બન હેલ્થ સેન્ટરમાં ગંદકીથી પણ દર્દીઓ નાખુશ છે. સ્વચ્છતાનો માપદંડ વધારવાનું સર્વે રિપોર્ટ જણાવે છે. જ્યારે દર્દીઓને અપાતાં ભોજનની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે.