સુરત શહેરના હાઉસિંગ બોર્ડના આવાસો જર્જરિત હાલતમાં છે. 30 વર્ષ જૂના 160 વસાહતોના 2600 મકાનોની હાલત ખરાબ છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાએ મકાનોને ખાલી કરવા નોટિસ આપી છે અને જાહેર ચેતવણીના બોર્ડ લગાવી દેવાયા છે.
સુરત મહાનગરપાલિકાએ મકાનોને ખાલી કરવા નોટિસ આપતાં 2500 જેટલા પરિવારોને મકાન ખાલી કરાવવાને લઇ પરેશાન થઇ ગયા છે. મકાન માલિકોએ મનપાને વૈકલ્પિક વ્યવસ્થઆ કરી આપવાની માગ કરી છે. ત્યારે સુરત મહાનગર પાલિકા આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે વસાહતો ખાલી કરાવે તેવી શક્યતા છે.
અમદાવાદમાં ઓઢવમાં મકાન પડી જવાની ઘટના બાદ ગુજરાત સરકાર જર્જરિત મકાનોને ફરીથી બનાવવા માટેની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી રહી હોવાનું કહ્યું હતું. આ અગાઉ પણ 2013માં આ નીતિ બનાવવાની જાહેરાત કરી હતી. તેમ છતાં તેમાં આજ સુધી કંઈ થયું નથી.
આ અગાઉ સ્લમ રિ-ડેવલપ પોલિસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી હતી. જેમાં સરકારે બિલ્ડરોને મોટો ફાયદો કરાવી આપવાની જોગવાઈ કરી હોવા છતાં તેમાં કોઈ સફળતા મળી નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણેક દશકા જૂના આવાસોના પુનઃનિર્માણ માટે એક રિડેવલપમેન્ટ પોલિસી બની પણ તેમાં કોઈ યોજના આજ સુધી બની શકી નથી.