ગુજરાતમાં રખડતા ઢોરને લઇને અનેક વખત નાગરિકો પર હુમલા કર્યાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે રખડતા ઢોર સામે કડક વલણ અપનાવ્યું છે.
રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ કડક વલણ
ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા
ગુજરાતમાં હજુ 40% જેટલા ઢોર પકડવાના બાકી
ગુજરાતમાં રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા રાજ્યમાં ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દિવસમાં કુલ 844 ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે ગુજરાતમાં હજુ 40% જેટલા ઢોર પકડવાના બાકી છે.
રાજ્યમાં કુલ 52 હજાર 62 જેટલાં ઢોર હોવાનો અંદાજ
રાજ્યમાં કુલ 52 હજાર 62 જેટલાં ઢોર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 8 મનપામાં 31 હજાર 952 અને 156 પાલિકામાં 20,110 ઢોર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 33 હજાર 806 ઢોર પકડવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે રાજ્યના 8 મહાનગરોમાં 23 હજાર 369 ઢોર પકડાયા
ચાલુ વર્ષે રાજ્યના 8 મહાનગરોમાં 23 હજાર 369 અને પાલિકામાં 10 હજાર 437 ઢોર પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રખડતા ઢોર અંગે 8 મહાનગરોમાં 841 ફરિયાદ નોંધાઈ છે. જ્યારે 156 નગરપાલિકામાં 3 ફરિયાદ નોંધવામાં આવી છે.
HCના આકરા વલણ બાદ ભાવનગર મનપાએ આળસ ખંખેરી
હાઇકોર્ટના આકરા વલણ બાદ તંત્રએ આળસ ખંખેરી લીધી છે. ત્યારે ભાવનગર મનપાએ રખડતા ઢોર સામે કામગીરી હાથ ધરી હતી. મનપાએ 4 દિવસમાં 18 રખડતા ઢોર પકડ્યા છે. 2 ટીમ બનાવી આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકાયો
બીજી બાજુ રાજકોટમાં રખડતાં ઢોરને લઇ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર માર્ગ કે ફૂટપાથ તથા જાહેર સ્થળોએ ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે નિયમોનું ઉલ્લંધન કરનારા સામે કાર્યવાહી કરાશે તેવો પણ આદેશ આપ્યો છે.
ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો: હાઇકોર્ટ
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રખડતા ઢોર મુદ્દે ગુજરાતમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એ દરમ્યાન હાઈકોર્ટે ફરીવાર વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું. હાઇકોર્ટે ઉધડો લેતા કહ્યું હતું કે, 'માત્ર ફરિયાદો જ થાય છે કે ધરપકડ પણ કરાય છે? રખડતા ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી છે. એક પણ કિસ્સામાં કડકાઈથી કામગીરી કરી હોય તો જણાવો. દર વખતે આંસુ સારવાથી કામ નહીં ચાલે. ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો.'
તમામ પાલિકાઓને કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશ
મહત્વનું છે કે, હાઈકોર્ટે 3 દિવસમાં કામગીરી કરી રખડતાં ઢોર રોડ રસ્તા પરથી દૂર કરવા આદેશ કર્યા હતા તેમ છતાં તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્માર્ટ સિટી અમદાવાદના સેટેલાઇટ, પાંજરા પોળ અને નેહરુનગર જેવાં પોશ વિસ્તારમાં હજુ પણ લોકોને રખડતાં ઢોર પરેશાન કરી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. તંત્ર હજુ પણ રખડતા ઢોરને પકડવામાં ઢીલાશ દાખવી રહ્યું છે. જેના લીધે હાઇકોર્ટે તમામ પાલિકાઓને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. ગઇકાલથી એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે તમામ પાલિકાઓને સૂચન કર્યું છે. તમામ પાલિકા અને મનપાને ઢોર પકડવાની કામગીરી કરવાની હાઇકોર્ટે સૂચના આપી છે.