અમદાવાદમાં AMCના હેલ્થ વિભાગનું પ્લાસ્ટિકના ઉપયોગને લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે AMCએ લાલ આંખ કરી છે. વેપારીને ત્યાં ચેકીંગ કરીને પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો છે.
અમદાવાદના વેજલપુર, આંબાવાડી અને સરખેજમાં પ્લાસ્ટિકની દુકાનો સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની કેરી બેગ, સ્ટ્રો, કપ, નાઇફ, સ્પૂન સહિત તમામના વેચાણ-ઉત્પાદન સામે કાર્યવાહી થશે. સાથે જ પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી સહિતની ચીજવસ્તુઓ વેચતાં લારી-ગલ્લા ઉઠાવી લેવાશે. મ્યુનિસિપલ કમિશનરે ભારે પેનલ્ટી ઉપરાંત એકમ સીલ કરવા સુધીનાં પગલાં ભરવા જણાવ્યું હતું.
વરસાદમાં શહેરના મોટા ભાગનાં મેનહોલ અને કેચપીટ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ખુલ્લેઆમ વપરાશથી ચોકઅપ થઇ ગયાં હતાં. ખુદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની જાતતપાસમાં મેનહોલ અને કેચપીટમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિક બહાર કઢાયું હતું. વરસાદી પાણીના સમયસર નિકાલ માટે પ્લાસ્ટિક અડચણરૂપ બનતું હોવાથી તંત્રએ હવે પ્લાસ્ટિક ફ્રી અમદાવાદ માટે નવેસરથી ઝુંબેશ હાથ ધરવા કમર કસી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યપર્વના દિવસે લાલ કિલ્લા પરથી દેશવ્યાપી સંબોધનમાં પ્લાસ્ટિકમુક્ત ભારતનું આહ્વાન કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત કરવાની દિશામાં હવે આગળ વધશે.
આમ તો શહેરમાં પ્લાસ્ટિકના ચાના કપ, ઝભલા-થેલી, પાન-મસાલાના રેપર ઉપર પ્રતિબંધ હોવા છતાં શાકમાર્કેટ, ફરસાણ, કરિયાણાની દુકાન, ડેરી, ચાની કીટલીઓ, પાન પાર્લર વગેરે સ્થળોએ છુટથી વપરાશ થઇ રહ્યો છે. ગત તા.પ જૂન, ર૦૧૮ના વિશ્વ પર્યાવરણ દિવસે પ૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો હતો, ત્યારે સત્તાવાળાઓએ વ્યાપક અભિયાન શરૂ કરી એક જ મહિનામાં ૧૦,૦૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી આ મામલે રૂ.૯૦ લાખની પેનલ્ટી વસૂલી હતી. આ ઉપરાંત ૧૬૪ જેટલા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કે ઉત્પાદન સાથે સંકળાયેલા એકમોને સીલ કરાયા હતા. જોકે અન્ય અભિયાનની જેમ પ્લાસ્ટિક સામેનું આ અભિયાન પણ થોડા દિવસો બાદ ઠંડુ પડી ગયું હતું.
મ્યુનિ. કમિશનર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હેલ્થ વિભાગ, એસ્ટેટ વિભાગ વગેરે વિભાગની ટીમ બનાવી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક ઝુંબેશ હાથ ધરવાની તાકીદ કરાઇ છે. કમિશનરની તાકીદ હેઠળ કસૂરવાર ઠરનાર ધંધાર્થીઓ સામે ભારે પેનલ્ટીની વસૂલાત કરવી તેમજ તેમના એકમને સીલ કરવા સુધીની કાર્યવાહીનો સમાવેશ થાય છે. ખુદ કમિશનર પોતે કેચપીટ અને મેનહોલની સફાઇની જાતતપાસ કરવા જે રીતે શહેરના માર્ગો પર ફર્યા હતા તે રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની તંત્રની ઝુંબેશની અસરકારકતાની ચકાસણી કરવા ફિલ્ડમાં ઊતરશે. એસ્ટેટ વિભાગને ઝભલા થેલીનું વેચાણ કરતા, શાકભાજી તેમજ અન્ય ખાદ્યસામગ્રીના લારી-ગલ્લાને ઉઠાવી લેવાનો આદેશ અપાયો છે. હોટલો, રેસ્ટોરન્ટ, દવાની દુકાનો વગેરેમાં તંત્ર કડક ચેકિંગ હાથ ધરશે.
દરમ્યાન આ અંગે મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર હર્ષદ સોલંકીને પૂછતાં તેઓ કહે છે કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનો આદેશ કમિશનર દ્વારા અપાયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે પણ કડક હાથે પગલાં લેવાશે અને તેમાં ઉત્પાદકોને કાપડ, કાગળ સહિતના અન્ય વિકલ્પ પ્લાસ્ટિકના બદલે અપાશે. આ માટે કોર્પોરેશન દ્વારા વિવિધ ઠરાવ અગાઉ થઇ ચૂક્યા હોઇ નવેસરથી કોઇ ઠરાવ કરવાની જરૂર નથી.