મુુંબઇની લાઇફ લાઇન સમાન લોકલ ટ્રેન આજે સવારે ટેકનિકલ ખામી સર્જાતાં સમગ્ર વ્યવસ્થા ઊથલપાથલ થઇ ગઇ. આજે સવારે ૭-૦૦ વાગ્યે ગોરેગાંવ સ્ટેશન પર ટેકનિકલ ખામી આવી. ત્યારબાદ મુંબઇની લોકલ સેવા ઠપ થઇ ગઇ. ચર્ચગેટ તરફ જતી તમામ લોકલ ટ્રેન રોકાઇ ગઇ. સવારે ઓફિસ જવા માટે નીકળેલા હજારો યાત્રીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો.
પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે મુંબઇના ગોરેગાંવ સ્ટેશન પર સિગ્નલમાં ખરાબી આવવાના કારણે સવારના ૭-૦પ વાગ્યે લોકલ ટ્રેનની અવરજવર પ્રભાવિત થઇ. રેલવેએ જણાવ્યું કે આ સમસ્યાને ૭-પ૦ વાગ્યે યોગ્ય કરી લેવાઇ હતી. આ કારણે ટ્રેનની અવરજવર પર અસર થઇ. યાત્રીઓને જે પરેશાનીનો સામનો કરવો તે માટે પશ્ચિમ રેલવેએ અફસોસ વ્યકત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં વેસ્ટર્ન રેલવેએ નવા વર્ષના સ્વાગતમાં બીજી એસી લોકલ ટ્રેન ચલાવી હતી. ગયા વર્ષના ડિસેમ્બરમાં પહેલી એસી લોકલ મુંબઇમાં આવી હતી. આ નવી ટ્રેનમાં ઘણાં નવાં હાઇટેક ફીચર્સ છે. પહેલાંની ટ્રેનમાં જે ખામીઓ હતી તે દૂર કરી દેવાઇ છે.