મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ધીમી ધારે થઇ રહેલા વરસાદે લોકો માટે મુશ્કેલી વધારી દીધી છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાથી ચક્કાજામ થઇ ગયો છે. ગણપતિ મહોત્સવને કારણે મુંબઇમાં લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર છે.
એવામાં ધીમી ધારે વરસાદને કારણે મુશ્કેલીઓ વધી ગઇ છે. મુંબઇમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ પડયો છે. તેને કારણે ઠાણે અને નવી મુંબઇમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો. સાંતાક્રુઝ હવામાન વિભાગ અનુસાર 2-3 સપ્ટેમ્બરની વચ્ચે 131.4 મિમી વરસાદ નોંધાયો છે.
જ્યારે કોલાબા હવામાન વિભાગે 800 મિમી વરસાદ રેકોર્ડ કર્યો. હવામાન વિભાગે 6 સપ્ટેમ્બર સુધી મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 6 સપ્ટેમ્બર માચે ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરાયું છે. જે ગણપતિ વિસર્જનનો એક દિવસ છે. ઓરેન્જ અલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે કોઇ વિસ્તારમાં હવામાન ખુબ જ ખરાબ થાય અને જનજીવન અસ્તવ્યસ્ત થવાની સંભાવના બની રહેતી હોય. અલીબાગમાં 133 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ઠાણે અને બેલાપુરમાં 190 મિમી.
ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને બેસ્ટની બસોના રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. એરપોર્ટ પર ફ્લાઇટની લેન્ડિગમાં 5 મિનિટ અને ટેક ઓફમાં 16 મિનિટનો વિલંબ થઇ રહ્યો છે. જોકે, હાલ લોકલ ટ્રેનો પ્રભાવિત થઇ નથી. ઉંચી લહેરોને કારણે બીએમસીએ લોકોને સમુદ્ર પાસે ન જવાની ચેતવણી આપી છે.