મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભાર વરસાદ પડતા સુરત અને મુંબઇ વચ્ચેનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. અને આજે બીજા દિવસે પણ અનેક ટ્રેન રદ કરી દેવાઇ છે. અને કેટલીક ટ્રેનને અડધેથી રોકી દેવાઇ છે. ત્યારે મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવેના મુસાફરો માટે સુરત રેલવે તરફથી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે સૌથી મોટી અસર ટ્રેન વ્યવહાર પર પડી છે. અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. સુરતથી જતી ફ્લાઈંગ રાણી, ગુજરાત એક્સપ્રેસ, શતાબ્દી, ઇન્ટરસિટી, વિરાર-ભરૂચ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તો સૂર્યનગરી એક્સપ્રેસના પૈડા સુરત સ્ટેશન પર થંભી ગયા છે. આ ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચતા કેન્સલ કરાઈ હતી. રણકપુર ટ્રેનને નવસારીથી કેન્સલ કરાઈ છે. તો મુંબઈ જતી અનેક ટ્રેનોને વલસાડ થોભાવી દેવાઈ છે. આમ, ગુજરાતથી મુંબઈ જવા નીકળેલા અનેક મુસાફરો દક્ષિણ ગુજરાતના વિવિધ સ્ટોપેજ પર અટવાયા છે.