હાલમાં જ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં આવેલા વાવાઝોડા અમ્ફાનમાંથી દેશ બહાર નથી આવ્યો ત્યાં વધુ એક વાવાઝોડું નિસર્ગ દેશમાં આવી રહ્યું છે. બંગાળની ખાડી બાદ આ વાવાઝોડું દેશના પશ્ચિમ ભાગ અરબ સાગરમાં આવી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાનો ખતર હવે મહારાષ્ટ્ર પર સૌથી વધુ મંડરાય રહ્યો છે. આજે બપોર બાદ મહારાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાશે. ત્યારે સ્કાયમેટ ચીફે ચિંતા કરાવતો દાવો કર્યો છે કે આ વાવાઝોડું 129 વર્ષનું સૌથી મોટું સંકટ હશે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે કરી આ તૈયારીઓ...
આજે બપોર બાદ મહારાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાશે
વિકરાળ અને તબાહી ફેલાવનારું હશે વાવાઝોડુંઃ સ્કાયમેટના ચીફ
NDRF, નેવી સહિત તમામ રેસ્ક્યૂ ટીમને ખડેપગે રહેવા સૂચના
એક તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યો કોરોના સામે લડી રહ્યા છે ત્યારે હવે નિસર્ગ વાવાઝોડું બન્ને રાજ્યો માટે સંકટ બનીને આવી રહ્યું છે. હવે મુંબઇ પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. 1891 બાદ પહેલી વખત અરબ સાગરમાં મહારાષ્ટ્રના તટ વિસ્તારની આસપાસ દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ બની રહી છે. આ પહેલા 1948 અને 1989માં બે વખત આ પ્રકારનું ડિપ્રેશન બન્યું હતું અને વાવાઝોડું આવવાની સ્થિતિ બની હતી પરંતુ બાદમાં સંકટ ટળ્યું હતું. મુંબઈ અને ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં આ વાવાઝોડાને લઇને તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સ્કાયમેટના ચીફે ચિંતા કરાવતો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 1891 પછીનું સૌથી મોટું વાવાઝોડું હશે. ભીષણ તબાહી ફેલાવનારું વાવાઝોડું હશે. 3જી જૂને બપોરે મહારાષ્ટ્ર દરિયાકાંઠે ટકરાશે. 120 કિલોમીટરથી વધુ ઝડપ હોય શકે છે.
NDRF, નેવી સહિત તમામ રેસ્ક્યૂ ટીમને ખડેપગે રહેવા સૂચના
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 12 કલાકમાં નિસર્ગ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ લઇ શકે છે. જેને લઇ રેડ એલર્ટ આપી દેવાયું છે. ઇસ્ટ-સેન્ટ્રલ અરબ સાગર પર ડીપ ડીપ્રેશન સક્રીય થઇ ગયું છે. વાવાઝોડાના કારણે મુંબઇમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ ચુકી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઇ NDRF, નેવી સહિત તમામ રેસ્ક્યૂ ટીમને ખડેપગે રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
મુંબઇના દરિયા કિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ
હવામાન વિભાગની આગાહી છે કે મુંબઇમાં નિસર્ગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. જેને લઇ સમગ્ર મુંબઇમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે પરિસ્થિતિનો સામનો કરવા માટે પશ્ચિમ નેવીએ પોતાની તમામ ટીમને સતર્ક રહેવા સૂચના આપી છે. નેવીએ 5 ટીમ રેસ્ક્યૂ ટીમને ખડેપગે રાખી છે. તો ત્રણ શોધખોળ ટીમને પણ મુંબઇમાં તૈયાર રાખી છે. આ ટીમો રાહત અને બચાવ અભિયાન માટે સુસજ્જ છે. નિસર્ગ વાવાઝોડાના ખતરાને લઇ મુંબઇના દરિયાઇ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે મુજબ દરિયા કિનારે સ્થિત બીચ, પાર્ક અને અન્ય સાર્વજનિક સ્થળે લોકોના જવા પર રોક લગાવી દેવામાં આવી છે.
17થી વધુ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી
બીજી તરફ નિસર્ગ વાવાઝોડાના ડરના કારણે મુંબઇથી ઉડાન ભરનાર અને આવનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. 17થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મુંબઇમાંથી માત્ર ત્રણ જ ફ્લાઇટ ઉડાન ભરશે.
21 હજારથી વધુ લોકોનું સ્થળાંતરણ થશે
આ તરફ પાલઘર જિલ્લાના કલેક્ટરે જણાવ્યું કે નિસર્ગ વાવાઝોડાના ખતરાને લઇ દરિયા કિનારા વિસ્તારના 21 હજારથી વધુ લોકોને અન્ય સ્થળે ખસેડાશે. 3 જૂને ત્રાટકનાર આ વાવાઝોડા પહેલા 22 ગામના લોકોને અન્ય સ્થળે ખસેડવાનું કામ શરૂ થઇ ચુક્યું છે. આશંકા છે કે વસઇ, પાલઘર, દહાનૂ અને તાલાસારી તાલુકાના લભગભ 21 હજારથી વધુ લોકોને બહાર નિકાળવામાં આવ્યાં છે. આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવશે. ગુજરાતમાં 20 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.
PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દાદરા-નગર હવેલી અને દમણ-દીવના અધિકારીઓ સાથે વાત કરી અને તેમને દરેક સંભવ મદદ કરવાનો ભરોસો અપાવ્યો છે.
કોરોનાની જેમ આપણે નિસર્ગ સામે પણ લડવાનું છેઃ ઉદ્ધવ ઠાકરે
તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને અપીલ કરી છે. આગામી બે દિવસ સુધી પોતાના ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. જેવી રીતે આપણુ યુદ્ધ કોરોના સામે ચાલી રહ્યું છે તેવી જ રીતે આપણે સાથે મળી નિસર્ગ વાવાઝોડા સામે પણ લડીશું અને જીતીશું.