IPLની 12મી સિઝનમાં ટ્રોફી જીત્યા પછી મુંબઇ ઇન્ડિયન્સની ટીમના ખિલાડીઓને સાતમા આસમાને છે. ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ફાઇનલ મેચમાં 1 રનથી જીત મેળવ્યા પછી રોહિત શર્માની કેપ્ટનશિપ તથા મુંબઇ ઇન્ડિયન્સના તમામ ખિલાડીઓની પ્રશંસા થઇ રહી છે.
IPLના ઇતિહાસમાં મુંબઇની ટીમ ચોથી વખત આ ટાઇલ જીતીને સૌથી વધુ ટાઇટલ જીતવાની રેસમાં પહેલા ક્રમે પહોંચી ગઇ છે. જોકે ટ્રોફી ઘરે આવતા જ ટીમના માલિક નીતા અંબાણીએ તેને ભગવાનને અર્પણ કરી હતી.
હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ટીમના માલિક નીતા અંબાણી IPLની ટ્રોફી સાથે દેખાઇ રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નીતા અંબાણી ટ્રોફી લઇને આવે છે અને રાધા-કૃષ્ણ મંદિરમાં ભગવાનના ચરણોમાં મૂકે છે. ત્યારપછી તેઓ ભગવાનના આશીર્વાદ લઇને તેમનો આભાર માને છે.
જોકે આ મંદિર ક્યાં છે તે અંગેની સત્તાવાર કોઇ માહિતી સામે આવી નથી. મંદિરમાં રાધા-કૃષ્ણની મૂર્તિ ચાંદીની બાજોટ પર બિરાજમાન દેખાય છે. આસપાસ કેટલાક બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા છે. નીતા અંબાણી પણ પ્રાર્થના કરતા દેખાઇ રહ્યા છે.
IPL 12ની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે છેલ્લા બોલ ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રનથી હરાવીને ચોથી વખત ચેમ્પયિન બની છે. સતત ઉતાર-ચઢાવવાળી રહેલી આ મેચમાં છેલ્લા બોલ લસિથ મલિંગાએ શાર્દુલ ઠાકુરને આઉટ કરીને મુંબઇને 1 રનથી જીત અપાવી દીધી હતી. મુંબઇના 150 રનનો ટાર્ગેટ સામે ચેન્નાઇ 20 ઑવરમાં 7 વિકેટ પર 148 રન જ બનાવી શકી.