IPLના બેહદ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ પોતાના તમામ ખેલાડીઓને ચાર દિવસનો બ્રેક આપ્યો છે, જેથી તેઓ આરામ કરી શકે, પોતાના પરિવારની સાથે સમય પસાર કરી શકે અને IPLની સિઝનના અંતિમ તબક્કાની મેચોમાં પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપી શકે.
IPL બાદ તરત જ વિશ્વકપ શરૂ થવાનો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હંમેશાં પોતાના ખેલાડીઓને સમજદારીથી પોતાના વર્કલોડને મેનેજ કરવાનું કહ્યું છે. મુંબઈની ટીમમાં સામેલ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બૂમરાહ આગામી વિશ્વ કપમાં ભારતીય ટીમનો હિસ્સો છે.
ટીમની નજીકનાં સૂત્રોએ કહ્યું, ''ખેલાડી અમારી પ્રાથમિકતા છે. તેમને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગમે તે કરે, પરંતુ બેટ અને બોલથી દૂર રહે. તેમણે શાંતિથી ચાર દિવસ આરામ કરવો જોઈએ.'' મુંબઈ તેની આગામી મેચ ૨૫ એપ્રિલે ચેન્નઈ વિરુદ્ધ રમશે. ''શું આ પગલું ભારતીય ખેલાડીઓને વિશ્વકપ માટે ફ્રેશ રાખવા માટે લેવામાં આવ્યું છે?'' એ સવાલના જવાબમાં સૂત્રએ કહ્યું, ''માત્ર રોહિત, બૂમરાહ કે હાર્દિક નહીં, અમારી પાસે ડિકોક, લસિથ મલિંગા જેવા અન્ય આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ છે, જે પોતાના દેશ તરફથી વિશ્વકપ રમવાના છે.''
સૂત્રોએ જણાવ્યું, ''અમે ખેલાડીઓના વર્કલોડને એવી રીતે મેનેજ કરવા ઈચ્છીએ છીએ, જ્યારે તેઓ વિશ્વકપમાં રમે ત્યારે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે. મુંબઈના મોટા ભાગના વિદેશી ખેલાડી સીધા ચેન્નઈ પહોંચી ગયા છે અને ત્યાં પોતાના પરિવારની સાથે રજાનો આનંદ માણી રહ્યાં છે, જ્યારે ભારતીય ખેલાડી પોતપોતાના ઘરે ગયા છે.''