મુંબઈ:આજથી મહારાષ્ટ્ર રાજ્યના ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થતી હોઈ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને પરીક્ષાને આગલે દિવસે વિદ્યાર્થીઓને કડક શબ્દોમાં ફરી જાણકારી આપી છે કે પરીક્ષા શરુ થયા બાદ કોઇપણ વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
આજથી શરુ થતી પરીક્ષાને લઇ ધોરણ-12ના વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બોર્ડની પરીક્ષાનો આરંભ સવારે ૧૧ વાગ્યે તેમજ બપોરના ભાગમાં ૩ વાગ્યે એમ 2 શિફ્ટમાં થશે.પરીક્ષા શરુ થતી હોઈ વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષાખંડમાં હાજર થવું જરુરી રહેશે.
આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી કુલ ૧૪ લાખ ૮૫ હજાર ૧૩૨ વિદ્યાર્થીઓ HSCની પરીક્ષામાં જોડાઈ રહ્યા છે. તેમના માટે સંપૂર્ણ રાજ્યમાં ૨ હજાર ૮૨૨ પરીક્ષા કેન્દ્રો પર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.મુંબઈ વિભાગ અંતર્ગત આવતાં મુંબઈ થાણે રાયગડ અને પાલઘર જિલ્લામાંથી કુલ ૩ ૩૦ ૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં બોર્ડની પરીક્ષા સમયે પેપર સોશ્યલ મીડિયાને આધારે ફૂટયા બાદ આ વર્ષે એવી ઘટનાઓ ન બને તે માટે સૌ પ્રથમવાર અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે.પરીક્ષા કેન્દ્રમાં આ વર્ષથી વિદ્યાર્થી કે શિક્ષકો માટે કેટલાક ખાસ પ્રતિબંધો રાજ્યના શિક્ષણ વિભાગે ફરમાવેલ છે.સાથોસાથ વિદ્યાર્થીઓ માટે સ્ટેટબોર્ડ દ્વારા સવારે ૮ થી રાત્રે ૮ દરમ્યાન હેલ્પલાઈન નંબરની પણ શરુઆત કરવામાં આવી છે.આ હેલ્પલાઇન પર ફોન કરી વિદ્યાર્થી પોતાની મૂંજવણ અંગે ચર્ચા કરી શકશે.