મહામારી વચ્ચે મુંબઈમાં મોટી હોનારત થઈ છે, મોડી રાતે મોલની અંદર આવેલ એક હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 10 લોકોના મોત નિપજ્યાં છે.
મુંબઈમાં મહામારી વચ્ચે માઠા સમાચાર
હોસ્પિટલમાં લાગી આગ, 10ના મોત
ભાજપ નેતાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ
12 કલાક બાદ પણ આગ બેકાબૂ
મુંબઈના ભાંડુપમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતનો આંકડો 10 પર પહોંચી ગયો છે. એક મોલની અંદર આ હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી જ્યાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના થઈ હતી. મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હોસ્પિટલના જે હિસ્સામાં આગ લાગી હતી ત્યાં 12 કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી.
મોલમાં લાગી આગ
નોંધનીય છે કે જે મોલમાં આગ લાગી છે તે વર્ષ 2009માં બનાવવામાં આવી હતી અને આ મોલમાં 1000 નાની દુકાનો તથા 2 હૉલ અને એક હોસ્પિટલ છે. કોરોના હોસ્પિટલ શરૂ કરવા માટે ગત વર્ષે જ શરતી મંજૂરી આપવામાં આવી હતી.
ભાજપે ઉઠાવ્યા સવાલ
મોલમાં લાગેલી આગ પર ભાજપ નેતા કિરીટ સોમૈયાએ બીએમસી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ડ્રીમ મોલના ટોપ ફ્લોર પર આવેલી હોસ્પિટલમાં આગ લાગી છે જેમાં 3 ICU દર્દીઓના મોત થઈ ગયા. આ હોસ્પિટલમાં OC ન હતું અને કોરોના વાયરસ થયો ત્યારે BMCએ અવૈધરૂપે OC આપી, કોઈ સુરક્ષા કે ફાયર સિસ્ટમ નહીં.
મેયરે કહ્યું મેં પહેલીવાર આવી હોસ્પિટલ જોઈ
મુંબઈના મેયરે કહ્યું કે મેં પહેલીવાર મોલની અંદર હોસ્પિટલ જોઈ છે. આગ લાગવાના કારણો વિશે તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના દર્દીઓને બીજી જગ્યા પર શિફ્ટ કરવાં આવ્યા છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.