જીવન જીવવાનો અને આપણા અસ્તિત્વનો હેતુ શું છે? આ દાર્શનિક સવાલનો જવાબ કોઈ શોધી શકયું નથી. જો કે જેમને તેમના જીવવાનો હેતુ સરી રહ્યો છે તેમ લાગતું નથી તેઓ ઠંડા કલેજે મોતની પ્રતીક્ષા કરે છે.
આવું જ થયું છે કે 78 વર્ષીય ઈરાવતી લવાટે અને તેમના 87 વર્ષીય પતિ નારાયણ લવાટેને. આ દંપતિ છેલ્લા થોડા સમયથી એક્ટિવ યુથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યું છે. તેમણે આ મુદ્દે રાષ્ટ્રપતિને અરજી કરી છે.
દંપતિ છે રજીસ્ટર્ડ ઓર્ગન ડોનર્સ
તેઓ રજીસ્ટર્ડ ઓર્ગન ડોનર્સ છે. તેમની ઈચ્છા છે કે તેઓ માંદગીમાં રોગોથી મરી જાય તેના કરતા અત્યારે જ તેમના તમામ અંગો સ્વસ્થ છે ત્યારે જ મૃત્યુ પામે તો તેમના અંગો કામ લાગી શકે. આ દંપતિ એવી વિચારસરણી ધરાવે છે કે તેમનું શરીર રિસર્ચ માટે આપવામાં આવે અને તેમની સંપત્તિ સરકારને સોંપી દેવામાં આવે.
તેમનું માનવું છે કે તેમને રોગો થાય અને તેમને હોસ્પિટલના બિલો ચૂકવવા પડે ત્યાં સુધી તેમણે જીવવું પડે તેવી ફરજ પાડવામાં ન આવવી જોઈએ અને તેમને જીવનથી મુક્તિ આપી દેવી જોઈએ.
તેમના કોઈ બાળકો પણ નથી
આટલા લાગણીસભર અને ગંભીર મુદ્દાને પણ આ દંપતિ ખૂબ હળવાશથી લે છે. તેમના કોઈ બાળકો પણ નથી. તેમનું માનવું છે કે દુનિયામાં પહલેથી કે આટલી વસ્તી છે, વધુ માનવોને ઉમેરવા અર્થહીન છે. તેમને બાળકોને ઉછેરવાની જહેમતથી પણ મુક્તિ જોઈતી હતી.
ઈરાવતી પોતે નિવૃત્ત શાળાના પ્રિન્સિપાલ છે જયારે નારાયણ પોતે મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારી છે. તેઓના 1968માં લગ્ન થયા હતા. તેઓ 25 વર્ષ સુધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોયી યુનિયનમાં કાર્યકર તરીકે અને RTI એક્ટિવિસ્ટ તરીકે કાર્યરત હતા.
રાષ્ટ્રપતિ તેમની અરજી નકારે તો આ છે તેમની યોજના
જો રાષ્ટ્રપતિ તેમની અરજી નકારે તો તેમની યોજના છે કે તેઓ આત્મહત્યા કરી લેવાનું વિચારે છે. આ ઉપરાંત તેઓ અરુણ ગવળી જેવા ડોનને પોતાની જ સોપારી આપીને મૃત્યુ આપવાની વિનંતી કરશે. આ ઉપરાંત તેઓ વધુ એક ભયાયક યોજનાની પણ ચર્ચા કરી ચુક્યા છે જેમાં તેઓ તેમની પત્નીને મારી નાખે અને બાકીની જિંદગી જેલમાં વિતાવે. તેમના મતે 75 પછીની જિંદગી આપ પણ એક પ્રકારની જેલ છે.
તેમણે તેમની રાષ્ટ્રપતિને લખેલી ઈચ્છા મૃત્યુની અરજીમાં લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિને તેને રોગ થાય ત્યાં સુધી જીવતા રાખવાની ફરજ પાડવી અમાનવીય છે. તેમને તેમના 75 વર્ષની ઉંમર વટાવી જવાના ગુના હેઠળ મૃત્યુદાન આપવામાં આવે જેથી તેઓ પોતાના અને દેશના સંસાધનો બચાવી શકે.