મુંબઈ BMC ચૂંટણી અગાઉ જ BJP દ્વારા પૂરજોશમાં તૈયારી આરંભી દેવામાં આવી છે. ત્યારે 19 જાન્યુઆરીના રોજ PM મોદી મુંબઈમાં જંગી જનસભા યોજશે.
19 જાન્યુઆરીના રોજ PM નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાત
ચૂંટણીમાં ઠાકરેનો છેલ્લો કિલ્લો પણ પાડી દેશે BJP?
માતોશ્રીની બાજુમાં જ PM મોદીની જંગી જનસભા
19 જાન્યુઆરીના રોજ PM નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાત લઈ રહ્યા છે. આ વેળાએ વડાપ્રધાન બીકેસી વિસ્તારમાં રેલીને સંબોધન કરશે. મહત્વની વાત એ છે કે વડાપ્રધાનનું બેઠક ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની નજી બાંદ્રાના બીકેસી ગ્રાઉન્ડમાં યોજાવાની છે. મહત્વનું છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મેટ્રો સહિત અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત સંદર્ભે PM મોદી મુંબઈની મુલાકાત કરી રહ્યા છે. જોકે આ મુલાકાતને અન્ય રીતે નિશાન બનાવવામાં આવતી હોવાથી ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આ રાજકીય મુલાકાત હોવાનું જણાવ્યું છે અને PM મોદી BMC ચૂંટણીને પગલે મુંબઈ આવી રહ્યા હોવાનું કહ્યું છે.
PMની મુલાકાતને પગલે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ તૈયારીમાં લાગ્યા છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે પીએમ મોદીની મુલાકાત બાદ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર મુંબઈ આવી રહ્યા છે.
BMC ચૂંટણી નાકનો પ્રશ્ન બની ગયો
BMCને સૌથી ધનાઢય મ્યુનિસિપલ કોર્પોરેશન માનવામાં આવી રહ્યું છે.જેમાં મુંબઈમાં તમામ પક્ષોની હાજરી હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી અહીં સત્તા પર ઠાકરે પરિવારની શિવસેનાનો દબદબો રહ્યો છે.આ સીલસીલો હમણાં એટલે કે મહાનગર પાલિકામાં વહીવટદારની નિમણૂક થઈ તે પહેલા સુધી ચાલ્યો હતો. જો કે, હવે શિવસેના બે જૂથોમાં વિભાજિત થવાથી ઉદ્ધવ ઠાકરે જૂથ અલગ પડતું દેખાઈ રહયું છે. હવે ચૂંટણી હરીફાઈ ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે થશે. જો કે, એકનાથ શિંદે જૂથ, કોંગ્રેસ, એનસીપી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, સમાજવાદી પાર્ટી, વંચિત બહુજન અઘાડી સહિત અનેક પક્ષો આ ચૂંટણીમાં જંપલાવશે.
રાજકિય સમીકરણો ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધમાં!
આજ સુધી BMCની સત્તા પર ઠાકરે પરિવારનું એકહથ્થુ શાસન રહ્યું છે જોકે, હવે આ સિંહાસન પર ભાજપની નજર હોવાથી તે ડગમગવા લાગ્યું છે. જેને લઈને ઉદ્ધવ ઠાકરે આ દબદબાને જાળવા રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે મુંબઈમાં શિવસેનાના 6 ધારાસભ્યો એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે. છતાં પણ ઉદ્ધવ ઠાકરે જૂથ ભાજપને ચૂંટણીમાં હરાવવાનો દાવો કરી રહ્યું છે જોકે રાજકિય સમીકરણો ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધમાં હોવાનું દેખાઈ રહ્યું છે. જેમાં હવે ઉદ્ધવ ઠાકરે ગૃપમાં અન્ય પક્ષો નહિ આવે તો આગમી ચૂંટણમાં મોટું નુકસાન ભોગવવું પડે તેમ છે. ત્યારે હાલની સ્થિતિ જોતા ઠાકરેનો છેલ્લો કિલ્લો પણ BJP પાડી દે તો નવાઈ નહિ તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો મહારાષ્ટ્રમાં છેલ્લો ગઢ ઠાકરે બચાવી શકશે કે કેમ ? તે પરિણામ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.