યુપીની રાજનીતિના અઠિંગ ખેલાડી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ આજે પોતાના પુત્રની રાજનીતિથી વિપરીત જોવા મળ્યા. એક તરફ જ્યાં મુલાયમ યાદવના પુત્ર અખિલેશ યાદવ મોદી સરકાર પર આકરા વાર કરે છે. ત્યાં પિતા મુલાયમસિંહ યાદવે પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા અને મોદી ફરીથી પ્રધાનમંત્રી બને તેવી કામના કરી.
ભારતીય રાજકારણમાં બુધવારનો દિવસ અનેક લોકોને ચોંકાવે તેવો રહ્યો. કારણ કે બુધવારે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવે લોકસભામાં કંઈ એવુ નિવેદન આપ્યું કે સૌ કૌઈ દંગ રહી ગયા. પુત્ર અખિલેશ યાદવ મોદી સરકાર પર એક પછી એક પ્રહાર કરે છે અને મોદી સરકાર પોતાની કામગીરીમાં એકદમ નિષ્ફળ રહી તેવા આરોપ લગાવે છે. ત્યાં તેમના પિતા મુલાયમસિંહ યાદવે લોકસભામાં પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા એટલું જ નહીં પણ મોદી ફરીથી પ્રધાનમંત્રી બને તેવી કામના કરી.
મારી કામના છે કે અહીં બેઠેલા જેટલા માન્ય સદસ્યો છે તે ફરી ચૂંટાઈને આવે... આ મારી ઈચ્છા છે... હું એ પણ ઈચ્છા રાખું છું કે અમે લોકો તો બહૂમતમાં નથી આવી શક્તા... પ્રધાનમંત્રી જી તમે ફરી બનો પ્રધાનમંત્રી.
તો મુલાયમસિંહે કરેલા વખાણ પર પ્રધાનમંત્રી મોદીએ હાથ જોડી તેમનો આભાર માન્યો હતો. ગૃહમાં બેંચ થપથપાવીને મુલાયમસિંહની વાતનું સમર્થન કર્યું હતું. તો જ્યારે મુલાયમસિંહ મોદીના વખાણ કરી રહ્યા હતા ત્યારે સોનિયા ગાંધી તેમની પાછળ જ બેસી મલકાઈ રહ્યા હતા. મુલાયમસિંહ યાદવે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનના પણ ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે તમે ખુબ જ સારી રીતે સંસદની કાર્યવાહી ચલાવી. તમામને સાથે લઈને ચાલવું આસાન નથી હોતું. તમે છતાં તમે સારી રીતે ગૃહને ચલાવ્યું.
તેમણે કહ્યું કે સમગ્ર ગૃહના નેતાઓને સદસ્યોને સંતુષ્ટ કરવા એ ખુબ જ અઘરુ કામ છે. તમામને સંતુષ્ઠ કરી પણ નથી શકાતા. મને તો અનુભવ છે કે જ્યારે લોકો સાથે વાતચીત કરીએ છીએ. પરંતુ હું એટલું જરૂર કહીશ કે તમે ગૃહને ખુબ જ સારી રીતે ચલાવવાનો પ્રયાસ કર્યો.
તો મુલાયસિંહના વખાણ પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સંસદે 1400થી વધારે કાયદા પણ ખતમ કર્યા. એક જંગલ જેવું બની ગઈ હતી કાયદાઓની આ જંજાળ. આ શુભ શરૂઆત થઈ છે. હજુ વધારે કામ કરવાના બાકી છે અને તેના માટે મુલાયમજીએ આશીર્વાદ આપ્યા છે.
તો મુલાયમસિંહને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે હું તેમની વાતથી સહેમત નથી. પરંતુ મુલાયસિંહ યાદવજીનો રાજકારણમાં એક મોટો રોલ છે અને હું તેમની વાતનું સન્માન કરું છું.
તો તમને જણાવી દઈએ કે મુલાયસિંહ યાદવ અને મોદીની ઘનિષ્ટતા જૂની છે. મોદી મુલાયમસિંહ યાદવના પૌત્રના તિલક સમારોહમાં સામિલ થવા માટે સૈફઈ ગયા હતા. તો એક વખત 2016માં મુલાયમસિંહ યાદવે નરેન્દ્ર મોદી માટે કહ્યું હતું કે PM મોદીને જુઓ... તેઓ મહેનત અને લગનથી પ્રધાનમંત્રી બન્યા છે. તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેઓ પોતાની માને પણ નથી છોડી શક્તા. મુલાયસિંહે સંસદમાં આજે કરેલા વખાણથી તેમના પુત્ર અખિલેશ યાદવના પેટમાં તેલ રેડાઈ શકે છે. કારણ કે બન્ને પિતા પુત્ર વચ્ચે રાજકીય મતભેદો હાલ ચાલી રહ્યા છે.