શહેરમાં પણ પોતાનું ઘરનું ઘર હોય એ દરેક લોકોનું એક સ્વપ્ન હોય છે અને વળી સરકારે પણ શહેરોમાં ગરીબોને ઘરનું ઘર મળે તે માટે અનેક યોજનાઓ બનાવી છે. પરંતુ સરકારનાં જ વિવિધ ખાતાઓનાં સંકલનનાં અભાવે અને કેટલાક નાણાં લાલચુઓનાં કારણે યોજનાઓનાં મીઠા ફળ નાગરિકોને ચાખવા મળતા નથી. આ વાતની સાક્ષી પૂરતી ઘટના વલસાડ શહેરમાં સામે આવી છે. અહીં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1800થી પણ વધુ ફ્લેટો તૈયાર થઇ ગયા છે. લાભાર્થીઓ પાસેથી લોનનાં હપ્તા પણ વસૂલાઈ રહ્યાં છે. છતાં પણ એક પણ લાભાર્થીઓને ફ્લેટ સોંપવામાં આવ્યો નથી જેનાં કારણે વલસાડનાં અસંખ્ય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
વલસાડનાં તિથલ રોડ પર ભાગડાવાડામાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા ઘરની યોજના તૈયાર થઈને ઊભી છે. અહીં રાજ્ય સરકારે 1800થી વધારે આવાસો બનાવ્યાં છે. જેમાં એક બેડરૂમ, હોલ, કિચનથી લઇ ચાર બેડરૂમ, હોલ કિચન સુધીનાં આવાસો તૈયાર થઈને ઊભા છે. જો કે આ તમામ ફ્લેટ હાલ તો ધોળા હાથી સમાન છે. આ આવાસો કેમ ધોળા હાથી સમાન છે તે તમને આ આવાસધારકની વેદના પરથી ખ્યાલ આવી જશે.
આવાસ યોજનાનાં લાભાર્થીઓએ ચાર વર્ષ અગાઉ ઘરનાં ઘર માટે અરજી કરી હતી. હાલમાં આવાસો તૈયાર થઈ ગયા છે અને આવાસની લોનનાં હપ્તા પણ લાભાર્થીઓ પાસેથી વસૂલાઈ રહ્યાં છે. પરંતુ આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી લાભાર્થીઓને આવાસ ફાળવામાં આવ્યાં નથી. જેનાં કારણે વલસાડનાં અસંખ્ય મધ્યમવર્ગીય પરિવારોને ભાડાનાં મકાનમાં રહેવુ પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ તૈયાર આવાસે લાભાર્થીઓ જાણે છત વિહોણા છે. આવાસ લાભાર્થીઓ આવાસનો કબજો માગી રહ્યાં છે તો પાલિકાનાં સત્તાધીશો મેઈન્ટેન્સ ખર્ચનાં નામે નિયમ બહારની વધારે રકમ માગી રહ્યાં છે. નવાઈની વાત એ છે કે, આટલા વર્ષો વીતી ગયા બાદ પણ નવસારી નગરપાલિકા આવાસમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું છે.
પોતાના ઘર માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ હજુ પણ ભાડાના મકાનમાં રહેવા મજબૂર નાગરિકોએ એક રેલી કાઢીને પોતાનો રોષ દર્શાવ્યો હતો. લોકોની માગ છે કે પોતાને ફૂલ સુવિધા સાથેનું આવાસ વહેલીતકે સોંપવામાં આવે. કેમ કે આવાસ તૈયાર થઈ ગયાને ઘણો સમય વીત્યો છતાં તેમાં નથી તો પાણીની સુવિધા કે નથી રાંધણ ગેસનું કનેક્શન અપાયું કે નથી રોજિદા કચરાના નિકાલની વ્યવસ્થા અહીં રહે તો લાભાર્થીઓ કેમ રહી શકે?
ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી અને રેઢિયાળ વહીવટને કારણે આવાસો હજુ સુધી લાભાર્થીઓને ફાળવવામાં આવ્યાં નથી. ત્યારે લાભાર્થીઓને આક્ષેપ એ પણ છે કે તૈયાર થઈને ઊભેલા આવાસોમાં હજુ સુધી પાણી અને ડ્રેનેજનાં કનેક્શન પણ અપાયા નથી. હાઉસિંગ બોર્ડ દ્વારા આવાસ સાઈટ પર લાભાર્થીઓની સાથે બેઠક પણ યોજાઈ હતી અને તેમાં લાભાર્થીઓને ખાતરી પણ અપાઈ હતી. છતાં વલસાડ નગર પાલીકા આ આવાસમાં પીવાનું પાણી અને ડ્રેનેજ આપવામાં ઊણી ઉતરી છે. એ જાણે અધૂરું હોય તેમ હવે સોસાયટીનાં રજિસ્ટ્રેશન અને એસોસિયેશનની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આવાસનાં લાભાર્થીઓ આવા કોઈ એસોશિયેશનમાં જોડાવા માગતા નથી. કેમ કે લાભાર્થીઓને લાગે છે કે, નગરપાલિકા એસોશિયેશન બનાવીને દોષનો ટોપલો એસોશિયેશ પર ઢોળી દેવા માગે છે અને પોતે જવાબદારીમાંથી છટકી જવા માગે છે.
આ મુદ્દે જવાબદાર અધિકારીઓ પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. અધિકારીઓ આ લાભાર્થીઓને આવાસો ક્યારે સોંપવામાં આવશે તે અંગે પણ હજુ સુધી કોઇ ચોક્કસ સમય જણાવતા નથી. અધિકારીઓ ડિપ્લોમેટિક જવાબ આપીને હાથ અદ્ધર કરી રહ્યાં છે. રહીશોને પોતાના આવાસ ક્યારે ફળવાશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તંત્રનાં આ રેઢિયાળપણાનો આ બદથી બદતર નમૂનો છે. તંત્ર આ રીતે જવાબદારીથી છટકતું રહેશે અને ઉચ્ચ અધિકારીઓ આવી બેદરકારીને છાવરતા રહેશે તો પછી જનતાનો ભરોસો તૂટી જશે.