સોશિયલ મીડિયાના આ સમયમાં એક બાજુ બોલિવૂડ સ્ટાર્સ જ્યાં પોતાની ગ્લેમરસ લાઈફને કારણે ચર્ચામાં રહે છે ત્યારે બીજી બાજુ કેટલાક સ્ટાર્સ પોતાના નોલેજને લઈને ટ્રોલ થતાં રહે છે. વર્ષ 2019માં સોનાક્ષી સિન્હાએ અમિતાભ બચ્ચનના સૌથી ચર્ચિત ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો હતો. જેમાં તે રામાયણથી જોડાયેલા એક સરળ સવાલનો જવાબ આપી શકી નહોતી અને તેને લાઈફ લાઈન લેવી પડી હતી.
હવે જ્યારે થોડાં સમય પહેલાં જ દૂરદર્શન પર રામાયણનું ફરી પ્રસારણ શરૂ કરવામાં આવ્યું તો મુકેશ ખન્નાએ સોનાક્ષી સહિત એવા તમામ લોકો પર નિશાન સાધતા કહ્યું કે, આ શોઝનું ફરી પ્રસારણ એવા લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે જેમને ધર્મ વિશે વધુ માહિતી નથી. જે બાદ મુકેશ ખન્નાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા પણ પોતાની દીકરીના સપોર્ટમાં આવ્યા અને મુકેશ ખન્નાને આડે હાથ લીધા હતા. હવે મુકેશ ખન્નાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ અંગે ખુલાસો કર્યો છે.
મુકેશ ખન્નાએ કહ્યું- તેમણે સોનાક્ષીનું નામ એક ઉદાહરણ તરીકે લીધું હતું. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું- લોકોએ મારી કમેન્ટને ખોટા અર્થમાં લીધી હતી અને તે ખોટી રીતે શત્રુજીને કહી હતી. હું તેમને છેલ્લાં ઘણાં સમયથી ઓળખું છું અને તેમનું સન્માન કરું છું. મેં માત્ર ઉદાહરણ માટે સોનાક્ષીનું નામ લીધું હતું. એનો અર્થ એવો નથી કે હું તેમનું કે સોનાક્ષીનું અપમાન કરવા ઈચ્છતો હતો કે પછી તેના જ્ઞાન અંગે મને કોઈ સવાલ હતો. મારો હેતુ તેને ટાર્ગેટ કરવાનો સહેજ પણ નહોતો. જોકે, હું એ વાતને લઈને હેરાન છું કે આજકાલની પેઢી આટલી બધી વાતોથી અજાણ કેમ છે.
તમને જણાવી દઈએ કે, સોનાક્ષીનું નામ લેવા પર પુનીત ઈસ્સર અને નિતીશ ભરદ્વાજ પણ સોનાક્ષીના સપોર્ટમાં આવ્યા હતા અને મુકેશ ખન્નાની આ બાબતે ટીકા કરી હતી. ત્યારબાદ શત્રુઘ્ન સિન્હા પણ સોનાક્ષીના બચાવમાં આવ્યા અને કહ્યું-તેમને હિંદુ ધર્મના રક્ષક કોણે બનાવ્યા છે? જે બાદ મુકેશ ખન્નાની પણ પ્રતિક્રિયા આવી અને તેમણે પોતાનો બચાવ કર્યો.