હાલમાં જ મહાભારતની આખી ટીમ ધ કપિલ શર્મા શો પર પહોંચી હતી, પરંતુ શોમાં ભીષ્મ પિતામહનો રોલ પ્લે કરનારા મુકેશ ખન્નાએ શોમાં હાજરી આપી નહોતી. જેના કારણે સોશિયલ મીડિયા પર તેમને સવાલ કરવામાં આવ્યા કે તેઓ કપિલ શર્મા શોમાં મહાભારતની ટીમ સાથે કેમ ગયા નહીં. જેના પર પ્રતિક્રિયા આપતા મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વિટ કરીને કપિલ શર્માના કોમેડી શો વિશે ઘણું બધું લખી નાખ્યું અને શોમાં ન જવાનું કારણ પણ જણાવ્યું.
મુકેશ ખન્નાએ શોને અશ્લીલ ગણાવતા કહ્યું કે આમાં છોકરાઓ છોકરીઓના કપડાં પહેરીને વાહિયાત હરકતો કરે છે. જેના પર હવે મહાભારતના યુધિષ્ઠિર એટલે કે ગજેન્દ્ર ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. તેઓ મુકેશ ખન્નાના આવા નિવેદનની નારાજ લાગી રહ્યાં છે. ગજેન્દ્રએ કહ્યું કે મુકેશ ખન્ના ટીમના રિયૂનિયનમાં સામેલ ન થઈ શક્યા જેથી તેમને ખોટું લાગ્યું છે. એટલે જ તેઓ આવું કહી રહ્યાં છે.
એક ઈન્ટરવ્યૂમાં ગજેન્દ્ર ચૌહાણે કહ્યું- મને લાગે છે કે મુકેશ જીને શોમાં આવવા મળ્યું નહીં એટલે તેમને ગમ્યું નથી. આ શો નંબર વન છે અને કરોડો લોકો આને જુએ છે અને તેઓ આ શોને વાહિયાત ગણાવી રહ્યાં છે. તેમણે એટલે સુધી કહી દીધું કે શોમાં પુરૂષો મહિલાઓના કપડા પહેરે છે. તેઓ ભૂલી ગયા કે મહાભારતમાં પણ અર્જુને એક છોકરીના સ્વરૂપમાં છોકરીના કપડાં પહેર્યા હતા અને એક સીનમાં નૃત્ય પણ કર્યું હતું. તો શું તેમણે પણ શો છોડી દેવાનો હતો. એ સમયે મુકેશજીએ મહાભારત કેમ ન છોડ્યો. હું મુકેશજીના આવા વ્યવહારની નિંદા કરું છું.
મુકેશે કહ્યું હતું કે તેમના સહ-કલાકાર ગુફી પેન્ટલે તેમને કહ્યું હતું કે રામાયણના કલાકારોને આમંત્રિત કર્યા બાદ તેમને શોમાં શોમાં આમંત્રણ આપવામાં આવશે. પરંતુ, તેમણે શો પર ન જવાનું નક્કી કર્યું. જેના પર ગજેન્દ્ર ચૌહાણ કહે છે કે ગુફી કોઈને આમંત્રણ આપવા માટે શોના કાસ્ટિંગ ડિરેક્ટર નથી.