રિલાયન્સ કંપનીના શેરના ભાવ સતત વધી રહ્યા છે. જેની પાસે કંપનીના શેર નથી તે વધતાં ભાવને જોઇને પછતાઈ રહ્યા છે એવામાં એક ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુકેશ અંબાણીના નજીકના અને કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પીએમએસ પ્રસાદે પોતાની પાસે રહેલા 94 ટકા શેર પ્લેઝ્ડ એટલે કે ગીરવે મૂકી દીધા છે.
શેર બજારને આપવામાં આવેલ જાણકારી અનુસાર રિલાયન્સના બોર્ડમાં સામેલ PMS પ્રસાદે 29 જૂને 6 લાખ શેર ગીરવે મૂકી દીધા છે અને તેની કિંમત 103 કરોડની આસપાસ થાય છે. તેમણે પોતાની પાસે રહેલા શેરમાંથી 93.75 % શેર ગીરવે મૂકી દીધા છે. તેમણે આ શેર કેમ ગીરવે મૂકી દીધા છે તેનો ખુલાસો થઇ શક્યો નથી.
પ્રસાદની પાસે રીલાયન્સના કુલ 6.40 લાખ શેર છે અને તેમને વર્ષ 2019-20 11.15 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું. તેના પણ પાછલા વર્ષે તેમને 10.01 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. નોંધનીય છે કે આ પહેલા પણ વર્ષ 2017માં તેમણે કંપનીના 1,36,666 વેચી નાખ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સના સીએફઓ આલોક અગ્રવાલે પણ 14.4 લાખ શેર ગીરવે મૂક્યા હતા અને પાછલા મહીને જ બીજા 2.25 લાખ શેર ગીરવે મૂક્યા છે. તેમને ગયા મહિનામાં જ રાઈટ ઈશ્યુ હેઠળ કંપનીના એક લાખ કેસ પ્રાપ્ત થયા હતા.
નોંધનીય છે કે પ્રસાદ 38 વર્ષથી રિલાયન્સ સાથે જોડાયેલા છે અને કેટલાક મોટા પદો પર કામ કરી ચુક્યા છે. આ વાત ચોંકવનારી છે કારણ કે રિલાયન્સના શેર હાલ ચડતીમાં છે અને શેરબજારમાં જિયોએ તો ધૂમ મચાવી છે. વિદેશોમાંથી પણ કંપનીઓ રોકાણ કરી રહી છે.