રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CMD મુકેશ અંબાણીનું કહેવું છે કે ભારતમાં હાલમાં આર્થિક મંદી બાહ્ય પરિબળોને કારણે છે. તે ટૂંક સમયમાં જ સુધરશે અને આગામી દાયકા વિકાસ અને સુધારાની દ્રષ્ટિએ ઐતિહાસિક રહેશે. નોંધનીય છે કે છેલ્લા 2 અઠવાડિયામાં રિલાયન્સ ઇન્ડસટ્રીઝ તોતિંગ 53706 કરોડની માર્કેટ કેપિટલ ગુમાવી ચુક્યું છે અને તેમના શેરમાં 2.8%નું ગાબડું પડ્યું છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે હાલની આર્થિક મંદી થોડા જ સમય માટેની છે
બાહ્ય કારણોસર બજાર અને અર્થવ્યવસ્થાને અસર થાય છે
આવનાર દાયકા વેપાર માટે ઐતિહાસિક તકો હશે
અંબાણીએ કહ્યું કે હું આગામી દાયકા માટે ખૂબ જ આશાવાદી છું
વર્તમાન નાણાકીય વર્ષ (2019-20) ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) માં વૃદ્ધિ દરમાં થોડો સુધારો થયો છે જે મામલે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સ્થિરતા દેખાવી એ સારો સંકેત છે.
એક કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે હાલની આર્થિક મંદી કામચલાઉ છે અને બાહ્ય ઉતાર ચઢાવથી પ્રભાવિત છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે આવનારા દાયકામાં વેપાર અને વિકાસ કરવાની ઐતિહાસિક તક હશે અને ભારત વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક હશે. તેમણે કહ્યું કે દેશ માટે આગામી દાયકામાં વધુ આશાવાદી રહેવા માટે પૂરતા કારણો છે.
અંબાણીએ કહ્યું, ''મને લાગે છે કે આપણે હંગામી ધોરણે દુઃખ સહન કર્યું છે, પરંતુ નાણાંમંત્રીએ પ્રદાન કરેલ નેતૃત્વની મદદથી આપણે આગળ વધીશું. વિદેશી ઉતાર ચઢાવની આપણને અસર થઈ છે પરંતુ હું ખૂબ આશાવાદી છું."
સીએનબીસી-ટીવી 18 દ્વારા આયોજિત 'બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ' એવોર્ડથી સન્માનિત થયા પછી તેઓએ આ સંબોધન કર્યું હતું.
જો કે હાલમાં કોરોનાવાયરસના ભયના કારણે વૈશ્વિક બજારમાં છેલ્લા 7 દિવસથી ભારત સહિતની મોટી કંપનીઓના શેરના ભાવોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. દુનિયાભરના ધનકુબેરો આ મંદીમાં 31 લાખ કરોડ જેટલા રૂપિયા ગુમાવી ચુક્યા છે.
ભારતની વાત કરવામાં આવે તો દેશની ટોચની 30 કંપનીઓની પરિસ્થિતિ દર્શાવતો સેન્સેક્સ પણ આ અઠવાડિયાના અંતે 1400 અંકની પછડાટ ખાઈ ચુક્યો છે.
નોંધનીય છે કે છેલ્લા 2 અઠવાડિયામાં રિલાયન્સ ઇન્ડસટ્રીઝ તોતિંગ 53706 કરોડની માર્કેટ કેપિટલ ગુમાવી ચુક્યું છે અને તેમના શેરમાં 2.8%નું ગાબડું પડ્યું છે. એવા સમયે મુકેશ અંબાણીની સકારાત્મક વિચારસરણીથી કેવી રીતે અર્થતંત્રમાં જોશ પુરાય છે તે હવે જોવાનું રહ્યું.