અંબાણી પરિવાર પોતાના ધાર્મિક અને સામાજિક કામ માટે જાણીતો છે તે સૌ કોઈ જાણે છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ ચારધામ બોર્ડને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેઓએ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના ખાતામાં રકમ આપી છે. કોરોના સંકટમાં બોર્ડની આવકમાં આવેલા ઘટાડો અને કર્મચારીઓના પગારના સંકટમાં આ રાશિ મંદિર માટે મદદરૂપ બનશે. અગાઉ તેઓએ તિરુપતિ મંદિરમાં પણ સફેદ દુર્લભ હાથીનું દાન કર્યું છે.
અનંત અંબાણીએ કર્યું ચારધામ મંદિરમાં દાન
ચારધામ મંદિરને કોરોનામાં કર્યું 5 કરોડ રૂપિયાનું દાન
અન્ય મંદિરોમાં પણ દુર્લભ ચીજોનું કરી ચૂક્યા છે દાન
ચારધામ બોર્ડ ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને 51 અન્ય મંદિરના મેનેજમેન્ટને સંભાળે છે. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રવિનાથ રમણે અનંત અંબાણીની તરફથી રકમ દાનમાં આપ્યાની જાણકારી આપી છે. તેઓએ કહ્યું છે કે આ મોટા દાન માટે તેઓ આભારી છે. આ રકમનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને સાથે યાત્રીઓની સુવિધાઓને વિકસિત કરવા માટે કરાશે.
બોર્ડના અધિકારીઓએ આર્થિક સંકટ મુદ્દે કર્યો હતો અંબાણી પરિવારનો સંપર્ક
મળતી માહિતી અનુસાર બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ અંબાણી પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અનંત અંબાણીના નામે આ રકમ ડોનેશન રૂપે આપવામાં આવી છે. બોર્ડના એડિશનલ સીઈઓ બીડી સિંહે કહ્યું કે દરેક વ્યક્તિ અંબાણી પરિવારની આસ્થાથી માહિતગાર છે. અમે તેમના દ્વારા અપાયેલા યોગદાનને દિલથી સ્વીકારીને આભાર માનીએ છીએ. મુશ્કેલ સમયમાં તેમના તરફથી મળેલી મદદ અમારા માટે મહત્વની છે.
અગાઉ આ સમયે પણ કરી ચૂક્યા છે દાન
ગયા વર્ષે પણ અંબાણી પરિવારે બોર્ડને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ગયા વર્ષે માર્ચમાં તેમને મંદિરની કમિટીમાં સામેલ કરાયા હતા. જ્યારે દીકરી ઈશા અંબાણીનું કાર્ડ કેદારનાથ અને બદ્રીનાથ મંદિરમાં ચઢાવ્યું તે સમયે પણ સમિતિને 51 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી હતી.
તિરુપતિ મંદિરને આપ્યો હતો દુર્લભ સફેદ હાથી
ખાસ કરીને અનંત અંબાણીનો ધાર્મિક ગતિવિધિ તરફ ઝોક વધુ રહ્યો છે. ચારધામ તીર્થસ્થળો સિવાય પણ તિરુપતિ મંદિર માટે પણ તેઓ બાળપણથી દાન કરી રહ્યા છે. 2012માં તેઓએ મંદિરને એક દુર્લભ સફેદ હાથી ભેટમાં આપ્યો હતો. એટલું નહીં મંદિર પરિસરમાં અનેક દૂધાળુ પશુ પણ આપી ચૂક્યા છે. અંબાણી પરિવાર તિરુપતિ મંદિર પણ દર્શનાર્થે જતો રહે છે.