વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા એ હદે ઓછી પડી કે, મ્યુકર્માઈકોસિસના દર્દીઓની સ્ટોર રૂમમાં સારવાર કરવી પડી રહી છે. બોટલ લટકાવવાના સ્ટેન્ડ પણ ખૂટી ગયા છે. સ્ટેન્ડ ન હોવાથી દોરી બાંધીને બોટલ લટકાવી રહ્યા છે. મ્યુકર્માઈકોસિસના વોર્ડની સંખ્યા વધતા અવ્યવસ્થા સર્જાઈ છે. દર્દીઓને ગભરામણ થઈ રહી હોવાથી ઘરેથી પંખા પણ લાવવા પડી રહ્યા છે. વોર્ડમાં પંખા પણ બિસ્માર હાલતમાં લટકી રહ્યા છે.
રાજ્યોને વધુ એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન ફળવાયા છે. કેન્દ્ર સરકારે વધુ 29,250 વાઇલ્સ રાજ્યોને ફાળવ્યા છે. રાજ્યોમાં મ્યુકર્માઈકોસિસના દર્દીના આધારે ફાળવણી કરાઈ રહી છે. હાલ દેશમાં મ્યુકર્માઈકોસિસના કુલ 11,717 દર્દીઓ હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતને 7200થી વધુ એમ્ફોટેરિસિન-બીના વાઇલ્સ મળ્યા છે. ગુજરાતમાં 25મે સુધીમાં મ્યુકર્માઈકોસિસના 2859 કેસ હોવાની માહિતી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર્માઈકોસિસના ઈન્જેકશન વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઈન્જેકશન દર્દીઓને આપવામાં આવશે નહીં. ઈન્જેકશન માટે જે તે દર્દીઓની હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઈ-મેલ કરવો પડશે. આ ઈ-મેલમાં દર્દીઓના જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. આ ઈ-મેલ હોસ્પિટલના સત્તાવાર ઈ-મેલ પર સવારના 9થી 12 વચ્ચે કરી શકાશે બાદમાં બપોરે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા દરમિયાન જરૂરી ચકાસણી કર્યા બાદ ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવશે.
રાજ્યમાં મ્યુકરમાયકોસીસના કેટલાક તારણો
આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.
આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે. ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.
કુલ દર્દીઓમાંથી ૫૯.૦૦% દર્દીઓને ડાયાબીટીસ, ૨૨.૧% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે ૧૫.૨% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે.
આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજન જરૂરિયાત ઊભી થઇ નહોતી
૪૯.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી
રાજ્યમાં મ્યુકર્માઈકોસિસની સર્જરીનું પ્રમાણ વધ્યું
રાજ્યમાં મ્યુકર્માઈકોસિસનો ખતરો વધ્યો છે. મ્યુકર્માઈકોસિસના કારણે મે મહિનામાં જ 10 દર્દીઓએ આંખો ગુમાવી છે. સર્જરી માટે હજુ પણ 150 દર્દીઓ વેઇટિંગમાં છે. આંખ અને દાંતના જડબા પર દર્દીઓને ખુબ અસર થઈ છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 335 દર્દીઓ સારવાર હેઠળ છે.