વડોદરા સ્થિત એમ. એસ. યુનિવર્સિટી હંમેશની જેમ ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીનાં ઈતિહાસમાં પ્રથમવાર વિધાર્થીઓની ઉત્તરવહી લખવા માટે બહાર મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ ઉજાગર થતાં જ યુનિવર્સિટીની આંતરિક સુરક્ષામાં રહેલી ગંભીર ચૂક સામે આવી છે. ત્યારે યુનિવર્સિટીમાં કેવી રીતે આચરાયું આ ઉત્તરવહી કૌભાંડ તે જોઈએ આ રિપોર્ટમાં.
મહારાજા સયાજીરાવે શિક્ષણનાં પ્રસાર અને પ્રચાર માટે સ્થાપેલી વડોદરા સ્થિત આ યુનિવર્સિટી છેલ્લાં ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ગઈ છે. હજુ થોડા દિવસ પહેલાં યુનિવર્સિટી કેમ્પસમાં આવારા તત્વોનાં પ્રવેશ અને એક મહિલા પદાધિકારી પર એસિડ એટેકની ધમકી આપવાનો વિવાદ માંડ શમ્યો છે ત્યારે હવે બીજો વિવાદ સામે આવ્યો છે.
આ વખતે યુનિવર્સિટીનાં સુરક્ષાતંત્ર અને વ્યવસ્થા તંત્રની પોલંપોલ છતી કરનારો વિવાદ સામે આવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટીનાં સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગનાં હંગામી પટાવાળાઓને આર્ટસ ફેકલ્ટીની કોરી ઉત્તરવહી બહાર લઈ જતાં યુનિવર્સિટીનાં સુરક્ષાકર્મીઓએ ઝડપી પાડ્યાં છે. યુનિવર્સીટી સત્તાધીશોએ ત્રણેય પટ્ટાવાળાની 5 કલાક પૂછપરછ કરતાં ત્રણેય પટ્ટાવાળાએ ગુનો કબુલ્યો છે. પટ્ટાવાળાઓએ 21 વિધાર્થીઓનાં નામ આપ્યાં છે જેમની પણ ઉત્તરવહી કૌભાંડમાં સંડોવણી સામે આવી છે.
અંકિત ફણસે, ચિરાગ વડદરા અને અશ્વિન કુંવરસિહ નામનાં આ પટાવાળા કોઈનાં દોરી સંચારથી યુનિવર્સિટીનાં સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગમાંથી કોરી ઉત્તરવહી કેમ્પસ બહાર લઈ જતા હતાં અને જે તે વિદ્યાર્થીઓ પાસે લખાવીને પરત લાવતા હતાં અને તપાસવાનાં બાકી હોય તે બંડલમાં મૂકી દેતા હતાં. આ કામ માટે તેઓ ઉત્તરવહી દીઠ નવસો રૂપિયા લેતા હતાં. જો કે, યુનિવર્સિટીનાં સુરક્ષાતંત્ર દ્વારા આરોપીઓને રંગે હાથ ઝડપી લઈને યુનિવર્સિટીનાં સત્તાધીશોને સોંપી દેવામાં આવ્યાં હતાં.
યુનિવર્સિટીનાં સત્તાધીશોએ આરોપીઓ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી દીધો છે. યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલરે તપાસ કમીટી નીમીને સમગ્ર ઉત્તરવહી કૌભાંડ તપાસનાં આદેશ આપ્યાં છે. આ સાથે જ ઉત્તરવહી કૌભાંડમાં સંડોવાયેલાં વિધાર્થીઓનાં પરિણામ અટકાવી દેવાનાં પણ આદેશ આપ્યાં છે.
યુનિવર્સિટીનાં ઈતિહાસમાં પ્રથમવાર બનેલી ઘટનાને કારણે યુનિવર્સિટીનાં સત્તાધીશો હરકતમાં આવી ગયાં છે. યુનિ.એ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે સાથે જ સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગમાં હંગામી કર્મચારી હટાવી કાયમી કર્મચારીની નિમણૂંક માટે પણ આદેશ કર્યા છે. આર્ટસ ફેકલ્ટીમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવતા યુનિવર્સીટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીનાં કો-ઓર્ડિનેટર્સની બેઠક બોલાવી.
આ સાથે જ આર્ટસ ફેકલ્ટીમાં ચીફ કો-ઓર્ડિનેટરની નિમણૂંક કરી દીધી છે. સમગ્ર કૌભાંડમાં હજુ કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ યુનિવર્સીટી કરી રહી છે. એમ.એસ.યુનિવર્સિટીનાં આ ઉત્તરવહી કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. આ સાથે જ એક રાજકીય પક્ષનાં વિધાર્થી પાંખનાં નેતાઓ પણ સામેલ હોવાની ચર્ચા છે. ત્યારે જો પોલીસ સમગ્ર મામલે તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે તો ચોકકસથી મોટા ખુલાસા થઈ શકે છે.