ટીમ ઇન્ડિયા 11 પૉઇન્ટની સાથે 10 ટીમોના પૉઇન્ટટેબલ પર બીજા સ્થાને આવી ગઇ છે. ન્યૂઝીલેન્ડના પણ 11 પૉઇન્ટ હોવા છતાં સારા રન રેટને લીધે ટીમ ઇન્ડિયા આગળ છે.
વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફધાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ. ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની સફર અત્યાર સુધી શાનદાર રહ્યુ છે, પરંતુ અનુભવી બેટ્સમેન ધોનીની નબળાઇ આવનારી મોટી મેચ માટે મુશ્કેલી બની શકે છે.
એમ.એસ.ધોની બેટિંગ પર સવાલ:
મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી મોટી નબળાઇ સામે આવી ગઇ છે, જ્યાં તે સ્ટ્રાઇકને ઓછી રોટેટ કરે છે અને ડૉટ બૉલ વધારે રમે છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ વર્લ્ડ કપ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 61 બૉલમાં 56 રનની ઇનિંગ રમી. ધોનીએ પોતાની ઇનિંગમાં માત્ર 3 બાઉન્ડ્રી અને 2 સિક્સર ફટકારી હતી.
ધોનીની આ ઇનિંગ દરમિયાન સૌથી રસપ્રદ વાત એવી રહી કે પોતાની 56 રનની ઇનિંગ દરમિયાન 26 રન 45 બૉલમાં કર્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 57.76નો રહ્યો. ધોનીએ બીજા 30 રન 16 બૉલમાં કર્યા, જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ 187.50નો હતો.
ધોનીની નબળાઇને કારણે જ ટીમ ઇન્ડિયાની ઇનિંગ ધીમી થઇ જાય છે. ગત 2 મેચમાં ટીમ ઇન્ડિયા ખાસ કરીને 30 ઑવરોમાં પછી ઘણું ધીમુ રમી હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ 300નો સ્કોર પણ નથી કર્યો. અફધાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ ધોનીની બેટિંગ સાધારણ રહી છે.
ધીમી બેટિંગથી થાય છે આ નુકસાન:
સેમિફાઇનલ અને ફાઇનલ જેવી મેચમાં ધોનીની આ નબળાઇને કારણે ટીમ ઇન્ડિયા સારો સ્કોર નહી કરી શકે તો ટીમ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. આ પહેલા અફધાનિસ્તાન વિરુદ્ઘ વર્લ્ડ કપ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 52 બૉલમાં 28 રનની ઇનિંગ રમીને ફેન્સને નિરાશ કર્યા હતા, ત્યારે સચિન જેવા મહાન બેટ્સમેને ધોનીની બેટિંગને લઇને નારાજગી વ્યકત કરી હતી.