ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડ કપ જીતનાર તેની ટીમનું શાનદાર સ્વાગત જેવા ક્ષણો તેના હૃદયની ખૂબ જ નજીક છે. ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારબાદ તેના નેતૃત્વ હેઠળ 2011ની વનડે વર્લ્ડ કપમાં પણ જીત હાંસલ કરી હતી.
ધોની બે વર્લ્ડ કપના જીતનાર કેપ્ટન
આ બંને ઘટનાઓનું પુનરાવર્તન થવું મુશ્કેલ છે
ધોનીએ કહ્યું, ક્રિકેટ એ અનિશ્ચિતતાઓનો ખેલ છે
મુંબઈમાં એક પ્રમોશનલ કાર્યક્રમમાં ધોનીએ કહ્યું, 'હું અહીં બે ઘટનાનો ઉલ્લેખ કરવા માંગુ છું, અમે 2007માં (ટી 20) વર્લ્ડ કપ જીત્યા પછી ભારત આવ્યા અને અમે એક ખુલ્લી બસમાં મુસાફરી કરી અને પછી મરીન ડ્રાઇવ (મુંબઇ)માં ઊભા રહ્યાં, તે સમયે ચારેતરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકો કારમાં અમારા સ્વાગત માટે આવ્યા હતા'. વધુમાં તેણે કહ્યું, 'તે સમયે દરેકના ચહેરા પર ખુશી જોઈને હું ખુશ થઈ ગયો હતો.' કારણ કે ચાહકોમાં ઘણાં એવા પણ લોકો હશે જેમની ફ્લાઇટ મિસ થઈ ગઈ હશે, તેઓ કદાચ કોઈ મહત્વપૂર્ણ કામ માટે જતા હશે. તે એક મહાન સ્વાગત હતું. આખી મરીન ડ્રાઇવ એક છેડેથી બીજા છેડે સુધી ભરાઈ ગઈ હતી.'
ટી-20 વર્લ્ડ કપ 2007
ધોનીએ જે બીજી ઘટનાનો ઉલ્લેખ કકતા કહ્યું, તે મુંબઈમાં 2011માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલ મેચની ક્ષણો હતી, જ્યારે ભારત જીતની નજીક હતું અને દર્શકો 'વંદે માતરમ'ની બૂમો પાડતા હતા. ધોનીએ આ મહત્વપૂર્ણ મેચમાં અણનમ 91 રન બનાવ્યા હતા. જેથી બીજી ઘટના 2011ના વર્લ્ડ કપ ફાઇનલની હતી. જ્યારે મેચમાં 15-20 રનની જરૂરિયાત હતી, ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં દર્શકો 'વંદે માતરમ'ની બૂમો પાડી રહ્યાં હતા, તે ઘટના પણ મારા હૃદયની ખૂબ જ નજીક છે.
આ બંને ઘટનાઓનું પુનરાવર્તન થવું મુશ્કેલ છે
ધોનીએ વધુમાં ઉમેર્યું કે, આ બંને ઘટનાઓનું પુનરાવર્તન થવું મુશ્કેલ છે. ક્રિકેટ એ અનિશ્ચિતતાઓનો ખેલ છે, જેના કારણે તે દેશમાં સૌથી વધુ લોકપ્રિય છે. દરેક બોલ અથવા જ્યારે પણ બોલર બોલિંગ કરવા આવે છે, ત્યારે તે મેચનો નકશો બદલી શકે છે. હું માનું છું કે ખરેખર ટી-20માં દરેક બોલ મેચની કાયા પલટ કરી શકે છે. ક્રિકેટમાં અમે નવી રીતો અપનાવતા રહીએ છીએ. જેમ કે 15 વર્ષ પહેલાંની વાત કરીએ તો સામાન્ય બેટ્સમેન રિવર્સ સ્વીપ નહોતો કરતો, પરંતુ હવે બેટ્સમેન આ શોટ રમે છે. એ જ રીતે ભારતીય ક્રિકેટ ટીમ તેના ચાહકોના કારણે સફળ છે.
ધોનીએ તેની શરૂઆતની કારકિર્દી વિશે વાત કરતાં કહ્યું કે, તેણે પણ ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. તેણે કહ્યું, 'હું એક નાના રાજ્ય (ઝારખંડ)ના એક નાના શહેર (રાંચી)થી આવ્યો છું, તેથી સંજોગો હંમેશાં મારા માટે અનુકૂળ નહોતા. 2003માં ભારત-એના પ્રવાસમાં મેં ઘણાં ઉતાર-ચઢાવ જોયા. ભારત-એ પ્રવાસ પછી મેં સતત સફળતા પ્રાપ્ત કરી.