એમ એસ ધોનીએ 15મી ઓગસ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કરિયરનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે 7 વાગ્યાને 29 મિનીટથી મને રીટાયર માની લેવામાં આવે. જે બાદ દરેક લોકોના મનમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે 7 વાગીને 29 મિનીટ જ કેમ ? સાડા સાત વાગે કેમ નહીં ? 7 કે 8 વાગે કેમ નહીં ? સોશ્યલ મીડિયામાં માહીના ફેન્સ આ સવાલ પર વિવિધ તર્ક આપી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં ધોનીના આ અંદાજ પર લોકો જાત-જાતના અને ભાતભાતના તર્ક આપી રહ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
સોશ્યલ મીડિયામાં ધોનીના ટાઈમ સિલેકશનની ખૂબ ચર્ચા
લોકો ધોનીના આ અંદાજ પર આપી રહ્યા છે વિવિધ કારણો
સોશ્યલ મીડિયામાં ધોનીના અંદાજની ખૂબ ચર્ચા
ધોનીની જાહેરાત બાદ સ્પોર્ટ્સ જગતથી લઈને બોલિવૂડ અને રાજકારણ સુધી બધાએ ટ્વિટ કરી કરીને પોતાનો ખાસ સંદેશ ધોની માટે આપ્યો ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે વર્ષ 2019ના વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ભારતને 7 વાગીને 29 મિનીટે જ હારનો સામનો કરવો પડ્યો હતો અને તે જ મેચ ધોનીના કરિયરની છેલ્લી મેચ રહી. જોકે બીજા અનેક લોકો સોશ્યલ મીડિયામાં તર્ક આપી રહ્યા છે કે 1929 (07:29) એક એન્જલ નંબર છે જેનો અર્થ થાય છે પોતાની જિંદગીમાં એક મોટો દોર પૂરો કરી લેવો.
મહેન્દ્ર સિંહ ધોનીએ 15મી ઓગસ્ટે જ કેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો તેના વિશે પણ કેટલાક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક તો એવા તર્ક લગાવી રહ્યા છે કે ધોનીના ટીશર્ટનો નંબર 7 અને રૈનાના ટીશર્ટના નંબરને જોડી દઈએ તો 73 થાય છે અને 15મી ઓગસ્ટે 73 વર્ષ પૂરા થયા હતા તેથી ધોનીની સાથે સાથે રૈનાએ પણ સંન્યાસ લઇ લીધો છે.
આર્મી સ્ટાઈલમાં સંન્યાસની જાહેરાત
દેશ અને સેના પ્રત્યે ધોની પ્રેમ છુપાવી શક્યા નહીં. ગયા વર્ષે સેમીફાઈનલ વર્લ્ડ કપ બાદથી જ તેઓ ક્રિકેટથી દૂર હતા અને તેમણે આર્મી સાથે ટ્રેનિંગ પણ કરી. સંન્યાસ સમયે પણ તેમનામાં આર્મી સ્ટાઈલ દેખાઈ. તેમણે સંન્યાસની જાહેરાત કરતા કહ્યું કે અભાર, તમારા બધાના પ્રેમ માટે આભાર. આજે 19.29થી મને રિટાયર માનવામાં આવે. આ પોસ્ટમાં ધોનીએ સ્ટાઈલમાં લખ્યું તે આર્મી સ્ટાઈલ છે.
ટીમ ઇન્ડિયામાં કેપ્ટન કૂલ કહેવાતા મહેન્દ્ર સિંહ ધોની હવે ટીમ ઇન્ડિયામાં બ્લુ ટીશર્ટમાં નજરે નહીં પડે. 15મી ઓગસ્ટે તેમણે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી નાખી. ધોનીની સાથે સાથી ખેલાડી સુરેશ રૈનાએ પણ સંન્યાસ લઇ લીધો છે ત્યારે રોહિત શર્માએ ટ્વિટ કરીને લખ્યું,'ભારતીય ક્રિકેટના સૌથી પ્રભાવશાળી માણસોમાં સામેલ. ક્રિકેટ અને તેની આસપાસ તેમનો પ્રભાવ ખૂબ રહ્યો. તેમની પાસે એક વિઝન હતો અને તે જાણતા હતા કે ટીમ કઈ રીતે તૈયાર કરવાની છે. અમે તેમને બ્લુ જર્સીમાં મિસ કરીશું પરંતુ યેલો જર્સીમાં તો તે દેખાશે, તો 19 તારીખે ટોસ પર મળીએ.'