ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 11મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)એ ત્રીજી વખત આ ટાઇટલ જીતી લીધું છે ત્યારે માહી હાલમાં પોતાના પરિવારની સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. એવામાં ઇંગ્લેન્ડના પ્રવાસ જતાં પહેલા ધોનીએ ઝારખંડમાં દેવડી સ્થિત દુર્ગા માતાના મંદિરના દર્શન કર્યા હતા. આ મંદિરમાં ધોની સ્કૂલમાં ભણતો હતો ત્યારથી દર્શન કરવામાં આવે છે. ઘણા મહત્વની મેચ પહેલા ધોની અચૂક આ મંદિરે દર્શન કરવા જાય છે.
ધોની પોતે કાર ચલાવીને 70 કિલોમીટર દૂર આ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. મંદિરમાં દર વખતની જેમ ધોનીને જોવા માટે ભીડ જમા થઈ હતી. ફેન્સ ધોનીની એક ઝલક મેળવવા માટે આતુર હતા. જો કે સુરક્ષાના કારણોસર ધોની આ મંદિરમાં વધારે રોકાયો નહોતો. રાંચી-ટાટા હાઈવે પર આવેલું આ મંદિર ધોનીની શ્રદ્ધાને કારણે દેશભરમાં પ્રખ્યાત થયું છે.
સ્કૂલના દિવસોથી લઇને ઘરેલૂ ક્રિકેટમાં સિલેક્શન સુધી રણજીથી ટીમ ઇન્ડિયાની સફર સુધી મહેન્દ્ર સિંહ ધોની માં દુર્ગાના દર્શન કરવા જાય છે. મહેન્દ્ર સિંહ ધોની સિવાય હરભજન સિંહ શિખર ધવન અને તેની પત્ની આયશા અને બિહારના એક્સ CM લાલૂ પ્રસાદ યાદવ પણ આ મંદિરમાં માતાના દર્શન માટે આવી ચૂક્યા છે
જણાવી દઈએ કે આ વખતની IPL ધોની માટે એક કેપ્ટન તરીકે અને ખેલાડી તરીકે સારી રહી હતી. 16 મેચમાં ધોનીએ 455 રન ફટકાર્યા હતા. IPLની કોઈપણ સિઝનમાં ધોનીએ અત્યાર સુધી આટલા રન નથી બનાવ્યા. 78.83ની રનરેટથી બેટિંગ કરીને ધોનીએ 3 હાફ સેન્ચુરી કરી હતી.