પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આવતા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પછી પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. આ સ્ટાર ક્રિકેટરના નજીકના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. જેથી હવે તેના કરિયરને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી શકે છે. જુલાઈમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપથી સેમિફાઇનલમાં બહાર નીકળ્યા બાદ ધોની કોઈ મેચ રમ્યો નથી.
વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ધોની કોઈ મેચ રમ્યો નથી
વિન્ડીઝ સામે 6 ડિસેમ્બરે શરૂ થનારી સીરિઝમાં પણ તે જોવા નહીં મળે
શાસ્ત્રીએ કહ્યું-અટકળો ન લગાવો, IPL 2020ની રાહ જુઓ
ધોની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર ગયો નહીં અને તે પછી દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેની ભારતીય સીરિઝમાં પણ રમ્યો નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'જો ધોની તેના ભવિષ્ય અંગે નિર્ણય લેશે તો તે આઈપીએલ પછી જ થશે. તમે અટકળો પણ વિરામ ન લગાવી શકો, કારણ કે તે એક દિગ્ગજ ખેલાડી છે. ફિટનેસના મામલે પણ તે એકદમ સારો છે અને છેલ્લા એક મહિનાથી સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. પરંતુ આઈપીએલ પહેલાં તે કેટલી સ્પર્ધાત્મક મેચ રમશે તે યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે.' આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન 38 વર્ષીય ધોની 6 ડિસેમ્બરથી શરૂ થનારી મર્યાદિત ઓવરની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડીઝ સામે નહીં રમે. આ શ્રેણીમાં ત્રણ ટી -20 આંતરરાષ્ટ્રીય અને એટલા જ વનડે મેચ રમવામાં આવશે.
ઋષભ પંત જેવા યુવા ખેલાડીઓને વધુ તક મળી શકે છે
રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સ્પષ્ટતા કરી દીધી છે કે પેનલ હવે ભવિષ્ય વિશે વિચારી રહી છે અને આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઋષભ પંત જેવા યુવા ખેલાડીઓને વધુ તકો આપવાની આશા છે. જોકે પંત અત્યાર સુધીની તકોનો લાભ લઈ શક્યો નથી અને વિકેટકીપર તરીકેના તેના ખરાબ પ્રદર્શન માટે સતત તેની ટીકા કરવામાં આવી રહી છે.
ઝારખંડની અંડર -23 ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો ધોની
તાજેતરમાં ડીઆરએસમાં ખોટા નિર્ણયો માટે પણ પંતની ટીકા થઈ હતી, જ્યારે ધોની આ મામલે ઉત્તમ છે. તે થોડા દિવસ પહેલાં ઝારખંડની અંડર -23 ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, તે પછીથી ક્રિકેટમાં તે પરત ફરશે તે અંગે અટકળો ચાલી રહી હતી. ધોનીના નેતૃત્વમાં ભારતે ટી 20 વર્લ્ડ કપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011 જીત્યો હતો. તેણે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 17 હજારથી વધુ રન બનાવ્યા છે.
શાસ્ત્રીએ કહ્યું-અટકળો ન લગાવો, IPL 2020ની રાહ જુઓ
શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ધોની ક્યારે રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર નિર્ભર કરે છે. તેમજ બીજા વિકેટકીપર્સ કેવું રમી રહ્યા છે અને ધોનીની સરખામણીએ તેમનું ફોર્મ કેવું છે. T-20 વર્લ્ડ કપ પહેલા IPL સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. તે દરમિયાન 15 ખેલાડીઓ નક્કી થશે. વધુમાં તેમણે કહ્યું કે, હું કહેવા માગીશ કે IPL પછી ટીમ લગભગ નક્કી થઈ જશે. કોણ ક્યાં છે અને શું થશે તેની અટકળો લગાવ્યા કરતા આપણે IPL સુધી રાહ જોવી જોઈએ. ત્યારબાદ જ નક્કી કરી શકાશે કે દેશમાં સર્વશ્રેષ્ઠ 17 કોણ છે.