ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે ટીમ ઈન્ડિયામાં વાપસીનો નિર્ણય સંપૂર્ણ રીતે ધોનીનો છે.
રવિ શાસ્ત્રીએ ધોનીને લઈને આપ્યું મોટું નિવેદન
શાસ્ત્રીએ કહ્યું, ધોની નિવૃત્તિ લઈ લે તે અંગે લોકોને કેમ ઉતાવળ છે
આઈપીએલ બાદ ધોની તેના ભવિષ્ય અંગે નિર્ણય લેશે
રવિ શાસ્ત્રીએ ધોની વિશે કહ્યું કે, તે એક મહાન ખેલાડી છે અને તે પોતાને ટીમ ઇન્ડિયા પર લાદવાનું પસંદ કરશે નહીં. હું તેને જાણું છું. તે બ્રેક લેવા માગતો હતો અને તે આઈપીએલમાં રમશે. જેથી કોઈએ પણ તેનાથી પરેશાન થવાની જરૂર નથી. શાસ્ત્રીએ કહ્યું કે, ધોની ત્યારે જ ટીમ ઈન્ડિયામાં આવશે જ્યારે તેને લાગશે કે તે રમી શકે છે. આઈપીએલ પછી આ નિર્ણય લેવાશે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે તેને લાગશે કે તે ભારતીય ટીમમાં રમી શકે છે, ત્યારે તેને કોણ રોકશે.
ધોનીએ કહ્યું, જાન્યુઆરી સુધી મને બ્રેક અંગે પૂછવું નહીં
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં શાસ્ત્રીએ કહ્યું કે, ધોની એક લેજન્ડ છે. તે ક્યારેય પોતાની જાતને ભારતીય ટીમમાં લાદવાનું પસંદ કરશે નહીં. તે બ્રેક લેવા માંગતો હતો પરંતુ હવે તે આઈપીએલમાં રમવા જઇ રહ્યો છે. આઈપીએલ બાદ ધોની તેના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. આ પહેલાં ચીફ સિલેક્ટર રહી ચૂકેલા એમએસકે પ્રસાદે પણ કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાની નજર હવે ઋષભ પંત પર છે. જ્યારે તાજેતરમાં જ એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન ધોનીને તેની વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે જાન્યુઆરી સુધી મને બ્રેક અંગે પૂછવું નહીં.
શાસ્ત્રીએ ઘણીવાર ધોનીનો બચાવ કર્યો છે
આ પહેલીવાર નથી જ્યારે રવિ શાસ્ત્રીએ ધોનીનો બચાવ કર્યો છે. આ અગાઉ પણ ધોનીના સમર્થનમાં શાસ્ત્રીએ કહ્યું હતું કે, 15 વર્ષથી દેશ માટે ક્રિકેટ રમનાર ધોની જાણે છે કે તેને ક્રિકેટને અલવિદા ક્યારે કહેવાનું છે. શાસ્ત્રીએ કહ્યું હતું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તેનાથી તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવાનો અધિકાર છે. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ધોની જાણે છે કે તેણે ક્યારે ગ્લોવ્ઝ ઉતારવાના છે. શાસ્ત્રીએ કહ્યું કે, 'જે ખેલાડી 15 વર્ષથી ભારત માટે રમે છે, શું તેને નહીં ખબર હોય કે ક્યારે શું કરવું યોગ્ય છે? જ્યારે તે ટેસ્ટમાંથી નિવૃત્ત થયો ત્યારે તેણે શું કહ્યું હતું?
વર્લ્ડ કપ પછી ધોની મેદાનમાં ઉતર્યો નથી
વર્લ્ડ કપ-2018 દરમિયાન તેની ધીમી બેટિંગને કારણે ક્રિટિક્સે ધોનીને ટાર્ગેટ કર્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલમાં રન આઉટ થયો હતો, ત્યારબાદથી જ ભારતની આશાઓ પર પાણી ફરી ગયું હતું. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા બાદ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ સમય દરમિયાન તેણે કાશ્મીરમાં ટેરિટોરિયલ આર્મી યુનિટ સાથે 15 દિવસ વિતાવ્યા. વર્લ્ડ કપ પછી તેણે કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીમાં ભાગ નથી લીધો.
ધોનીએ દેશ માટે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે
શાસ્ત્રીએ કહ્યું હતું કે, ધોનીએ દેશ માટે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. લોકોને કેમ ઉતાવળ છે કે તે નિવૃત્તિ લઈ લે? કદાચ તેમની પાસે વાત કરવા માટે બીજો કોઈ મુદ્દો નથી. તે પોતે અને જે કોઈપણ તેને ઓળખે છે, તે બધાં જાણે છે કે તે જલ્દી આ રમતથી દૂર થઈ જશે.વધુમાં તેમણે કહ્યું કે, આગામી બે વર્ષ સુધી અમારું ધ્યાન હવે ટી-20 ફોર્મેટ પર છે. અમારે બે ટી-20 વર્લ્ડ કપ (2020 અને 2021)માં રમવાનું છે. આ ટૂર્નામેન્ટ માટે અમારી પાસે ખેલાડીઓનું એક ગ્રુપ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે ધોનીએ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તે જાન્યુઆરી પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.