મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વ 'કેપ્ટન કૂલ' તરીકે ઓળખે છે, પરંતુ ધોની સાથે રમનારા પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે, આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન પણ એક માણસ છે અને ઘણી વખત તે પણ મેદાન પર પોતાનો પિત્તો ગુમાવી દે છે. 2017માં શ્રીલંકા સામેની વનડે મેચ દરમિયાન 'ચાઇનામેન' બોલર કુલદીપ યાદવ પર ધોની ભડક્યો હતો, જેને લઈને ખૂબ ચર્ચા પણ થઈ હતી. જ્યારે આઈપીએલમાં પણ ચાહકોએ ધોનીને ઘણી વખત ગુસ્સો કરતાં જોયો છે.
મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વ 'કેપ્ટન કૂલ' તરીકે ઓળખે છે
પરંતુ ધોનીએ ઘણી વખત મેદાન પર પિત્તો ગુમાવ્યો છે
ધોની સાથે રમનારા પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે, ધોની અન્ય કેપ્ટન કરતાં શાંત છે
પૂર્વ ક્રિકેટરો ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટસ પ્રોગ્રામ 'ક્રિકેટ કનેક્ટેડ'માં કહ્યું હતું કે, આ વિકેટકીપર બેટ્સમેન ધોની ભૂતકાળમાં ઘણી વખત આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન પિત્તો ગુમાવી ચૂક્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે 2006–07ની ઘટનાને યાદ કરતાં કહ્યું-જ્યારે ધોની પ્રેક્ટિસ દરમિયાન આઉટ થયો તો ગુસ્સે થઈ ગયો હતો.
પઠાણે કહ્યું, અમે વોર્મ-અપ દરમિયાન એક મેચ રમી હતી, જેમાં જમણા હાથના બેટ્સમેનોને ડાબા હાથે અને ડાબા હાથના બેટ્સમેનોને જમણા હાથે અને જમણા હાથના બેટ્સમેનોને ડાબા હાથે બેટિંગ કરવાની હતી. ત્યારબાદ અમારે નેટ પ્રેક્ટિસ કરવાની હતી. પછી અમે 2 ટીમ બનાવી ત્યારે ધોની આઉટ થયો હતો, પણ તેને લાગ્યું કે, તે આઉટ નથી થયો અને તેણે પોતાનો બેટ ફેંકી દીધો અને ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો અને પછી પ્રેક્ટિસ માટે પણ લેટ આવ્યો. જેથી ગુસ્સો તેને પણ આવે છે.
જ્યારે ગંભીરે કહ્યું કે, લોકો કહે છે કે, તેને ગુસ્સો નથી આવતો પરંતુ મેં બેવાર તેને ગુસ્સો કરતાં જોયો છે. વર્લ્ડ કપ 2007 અને અન્ય એક વર્લ્ડ કપની વાત છે જ્યારે અમે સારું પર્ફોમ નહોતા કરી શક્યા. જેથી તે પણ માણસ જ છે અને તે પણ આવી પ્રતિક્રિયા આપે તે સ્વાભાવિક છે. ગંભીરે આગળ કહ્યું- એટલું જ નહીં જો ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી ખરાબ ફિલ્ડિંગ અથવા કેચ છોડવા પર તેની પ્રતિક્રિયા આવવી સામાન્ય બાબત છએ. હાં તે કૂલ છે અને અન્ય કેપ્ટનની તુલનામાં ઘણો શાંત પણ છે. મારા કરતા તો ચોક્કસથી ખૂબ જ શાંત છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લીએ ધોનીને તેની રમતથી 'દર્શકોનું મનોરંજન કરનાર ખેલાડી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, બહુ જ ઓછી વખત ધોની પોતાનો પિત્તો ગુમાવે છે. તેણે ક્યારેય સીમાઓ ઓળંગી નથી અને જો એવું થયું પણ હશે તો એ પ્રસંગો ખૂબ જ ઓછાં હશે. આખરે તો આપણે બધાં માણસો જ છીએ. ધોનીએ આઈપીએલ દરમિયાન ઘણી વખત મેદાન પર ગુસ્સો જાહેર કરતાં જોવા મળ્યો છે.
આઈપીએલ 2019માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 19મી ઓવરમાં દીપક ચાહરની સતત બે નો-બોલ પર ધોની ગુસ્સે થયો હતો. આ પછી જયપુરમાં જ્યારે સ્ક્વેર લેગ અમ્પાયરે નો-બોલના નિર્ણયને બદલ્યો, ત્યારે તે ડગ આઉટથી અમ્પાયર સાથે દલીલ કરવા મેદાન પર ગયો.