ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) 17 ઓક્ટોબરથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપ માટે બુધવારે પોતાના 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં જ્યાં સ્પિનર રવિચંદ્રન અશ્વિનની 4 વર્ષ બાદ વાપસી થઈ છે. જ્યારે ટી-20ના માસ્ટર બોલર તરીકે ઓળખાતા યુઝવેન્દ્ર ચહલની વર્લ્ડ કપની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં 15 ખેલાડીઓની કરાઈ જાહેરાત
ધોનીને ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના માર્ગદર્શક બનાવ્યાં
ટી-20ના માસ્ટર બોલર તરીકે ઓળખાતા યુઝવેન્દ્ર ચહલની પસંદગી
બીસીસીઆઈની સિનિયર પસંદગી સમિતિએ આ સિવાય એક મહત્વનો નિર્ણય કર્યો છે. પસંદગી સમિતિએ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના માર્ગદર્શક બનાવ્યાં છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ખુલાસો કર્યો છે કે કેવીરીતે ધોનીને ટી-20 વર્લ્ડ કપમાં માર્ગદર્શક બનાવવા માટે રાજી કર્યા.
મેં ટીમના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી: જય શાહ
શાહે ટીમની પસંદગી કર્યા બાદ જણાવ્યું કે, તેમણે આ મામલે ધોની ઉપરાંત વિરાટ કોહલી, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને આખી ટીમના મેનેજમેન્ટ સાથે વાત કરી હતી અને દરેક લોકો આ બાબતે સહમત હતા. ટી-20 વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કર્યા બાદ શાહે વર્ચ્યુઅલી મીડિયા પત્રકાર પરિષદમાં કહ્યું, જ્યાં સુધી ધોનીની વાત છે તો મેં તેમની સાથે દુબઈમાં વાતચીત કરી હતી. તેમણે ફક્ત ટી-20 વિશ્વ કપ માટે માર્ગદર્શક બનવા માટે સહમતિ દર્શાવી હતી અને મેં મારા દરેક સાથીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી. જેના પર દરેક લોકો સહમત છે.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનમાંના એક વિકેટકીપર બેટ્સમેન ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે બે વિશ્વ કપના ખિતાબ-દક્ષિણ આફ્રિકામાં 2007માં ટી-20 વિશ્વ કપ અને ભારતમાં 2011નો વન-ડે વિશ્વ કપ જીત્યાં છે. એવામાં ધોનીનો અનુભવ અને તેમનું મગજ ભારતીય ટીમ માટે સારું મનોબળ પુરુ પાડી શકે છે.