રબારી, ચારણ, ભરવાડને આદિવાસી જાતિના પ્રમાણપત્ર આપતાં આદિવાસી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. આ પ્રમાણપત્ર રદ્દ કરવા માટે માંગણી થઇ રહી છે. છેલ્લા કેટલા સમયથી ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના આદિવાસી સાંસદોએ PMને લખ્યો પત્ર
રબારી, ચારણ, ભરવાડ જાતીને STની યાદીમાથી દૂર કરવા કરી માંગ
ગાંધીનગરમાં હાલ આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે પણ આંદોલન
રાજ્યના આદિવાસી સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રબારી, ચારણ, ભરવાડ જાતીને STની યાદીમાંથી દૂર કરવાની માગણી કરી છે. જે સાંસદોએ પત્ર લખ્યો છે તેમાં જશવંતસિંહ ભાભોર, ગીતા રાઠવા, મનસુખ વસાવા અને પ્રભુ વસાવાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં હાલ આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે પણ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં જે લોકોને આદિવાસીના નામે ખોટી રીતે અપાયેલા પ્રમાણપત્રો રદ કરવાની મુખ્ય માગણી છે. જેને પણ કેટલાક સાંસદોએ ખુલ્લુ સમર્થન આપ્યું છે.
ખોટી રીતે આદિવાસી બની નોકરી મેળવતા વિરોધ
ગાંધીનગર ખાતે આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. આદિવાસીઓની માંગ છે કે ગીર-બરડોમાં રહેતા અમુક જાતિના લોકોને ખોટી રીતે આદિવાસી બનાવી તેમને આદિવાસીના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. તેઓ આદિવાસીના હક્ક છીનવી રહ્યાં છે. જેથી તેમના પ્રમાણપત્રો રદ્દ કરવામાં આવે અને આવા ખોટા પ્રમાણપત્રો પર મેળવેલી નોકરીઓને પણ રદ્દ કરવામાં આવે. જો આવું નહીં થાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરી સરકારને ઘેરવામાં આવશે. આ આંદોલનમાં પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાએ પણ આંદોલનને સમર્થન કર્યું હતું.