ગોંડલના ચોરડીમાં વેષ્ણવ સંમેલનમાં સાંસદ રમેશ ધડુકએ જણાવ્યું હતું કે, રમેશ ટીલાળાને રાજકોટમાં ટિકિટ આપશે તો લડશે અને ગોંડલ સીટ પર ગીતાબા રીપીટ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
ગોંડલના ચોરડી ખાતે વેષ્ણવ સંમેલનમાં સાંસદ રમેશ ધડુકનું નિવેદન
રમેશ ટીલાળા ગોંડલથી ચુંટણી નહી લડે
જૂથવાદ ખતમ કરવાના મે પ્રયાસ કર્યા હતા :રમેશ ધડુક
ગોંડલના ચોરડી ખાતે વૈષ્ણવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા ભાજપ આગેવાન સાથે અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સાથે જોવા મળ્યા હતાં. આ કાર્યક્રમમાં જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક સહિત રાજકીય-સમાજિક આગેવાનો સહીત મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ દરમિયાન સાંસદ રમેશ ધડુકએ ટિકિટ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રમેશ ટીલાળા ગોંડલથી ચુંટણી નહીં લડે! વધુમાં "રાજકોટની કોઈ પણ સીટ પરથી ટિકિટ મળશે તો ચૂંટણી લડશે.
આવનારી લોકસભાની ચૂંટણી હું નહીં લડું : રમેશ ધડુક
વધુમાં ગોંડલ બેઠક પરથી જેને પણ ટિકિટ મળશે એમને મારું સમર્થન રહેશે. ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન સાંસદ રમેશ ધડુકએ ગીતાબા જાડેજાને પાર્ટી દ્વારા રીપીટ કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં ગોંડલ સીટ પર ચાલતા જૂથવાદને ખતમ કરવાના રમેશ ધડુકએ પ્રયાસ કર્યા હોવાનું વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ આવનારી લોકસભાની ચૂંટણી હું નહીં લડું તેવું પણ રમેશ ધડુકએ અંતમાં ઉમેર્યું હતું.
રમેશ ટીલાળાની ટિકિટ મામલે રમેશ ધડુકએ ફોડ પાડ્યો
ઉલ્લેખનીય છે કે ગોંડલમાં હાલ ગોંડલ જૂથના જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજાએ ટિકિટની માંગ કરી છે. ટિકિટ માટે બે ક્ષત્રીય જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદને સમાવવા માટે પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા ચાલતી હતી અને રમેશ ટીલાળાએ રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીગ શરૂ કર્યું હોય તેવી ચર્ચા ચાલી હતી. ત્યારે રમેશ ધડુકએ આ મામલે ફોડ પાડ્યો છે. મહત્વનું છે કે, થોડા સમય અગાઉ જ રમેશ ટીલાળા નરેશ પટેલ સાથે વડાપ્રધાનને મળવા ગયા હતા. ઉપરાંત અમદાવામાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.