48.1% સિંહો રેવન્યૂ વિસ્તારમાં ફરી રહ્યાં છે: નથવાણી
પીપાવાવ પોર્ટના પાર્કિંગ એરિયામાં સિંહણના મૃતદેહ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે તેમને જણાવ્યુ હતું કે 48.1 ટકા સિંહો રેવન્યુ વિસ્તારમાં ફરી રહ્યા છે. સિંહોનું રક્ષણ કરવું જરૂરી છે. તથા કિંમતી જંગલી જીવની કિંમત પર કોઈ પણ પ્રકારનો વિકાસ ઈચ્છનીય નહીં હોવાનું સાંસદ પરિમલ નથવાણી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.
મહત્વનું છે કે, ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે. આ દરખાસ્ત ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયનના દસ્તાવેજનો ભાગ છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી માર્ચ 8 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપ્યો હતો.
પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય એશિયાટીક સિંહના નિર્મૂલનના જોખમને દૂર કરવાનો છે. સાથે એશિયાટીક સિંહની આગામી પેઢીઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલાં લેવાનો છે. આ પ્રોજેક્ટ પાછળનું એક કારણ એવું પણ છે કે, સિંહ સાથે નજીકના વિસ્તારમાં રહેતા લોકોનું વન્યપ્રાણીઓ સાથે તાલમેળ રહે અને સિંહ સંવર્ધનથી તેમને પણ ફાયદો મળી રહે.