પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એકબીજા પર આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. આ વખતે શાસક પક્ષ તૃણમુલ કોંગ્રેસ TMC ના સાંસદ નુસરત જહાંએ ભાજપ વિશે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ભાજપને કોરોના વાયરસ કરતા વધુ ખતરનાક વાયરસ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પાર્ટી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે રમખાણો કરાવે છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો મુસ્લિમોના ખરાબ દિવસો શરૂ થઈ જશે.
TMC સાંસદે ઉત્તર 24 પરગણાના મુસ્લિમ પ્રભાવવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને કોરોના વાયરસ સાથે સરખાવ્યું હતું. તેમણે કહ્યું, 'તમે તમારી આંખો ખુલ્લી રાખો ... ભાજપ જેવો ખતરનાક વાયરસ ફરી રહ્યો છે. આ પક્ષ ધર્મોની વચ્ચે ભેદભાવ અને માણસો વચ્ચે ભેદભાવ ઊભો કરાવે છે. જો ભાજપ સત્તામાં આવશે તો મુસ્લિમોની ઊંધી ગણતરી શરૂ થઈ જશે.
ભાજપે મમતા બેનરજીના મૌન પર ઉઠાવ્યા સવાલો
TMC ના સાંસદ નુસરતના નિવેદનને લઈને ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ મમતા બેનર્જી અને તેમના પક્ષ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. માલવીયાએ કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં રસી ઉપર સૌથી ખરાબ રાજકારણ થઈ રહ્યું છે. મમતા બેનર્જીના મંત્રીમંડળના વર્તમાન પ્રધાન પ્રથમ સિદ્દિકુલ્લાહ ચૌધરીએ રસી વહન કરતી ટ્રકને અટકાવી હતી. હવે TMC ના સાંસદ, જ્યારે મુસ્લિમ બહુમતી વાળા દેગંગા જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ભાજપને કોરોના સાથે સરખાવી રહ્યા છે. પરંતુ મમતા બેનર્જી ચૂપ છે. કેમ? તુષ્ટિકરણ ?
રસી લઈ જતા વાહનને ડાયવર્ટ કરવું પડ્યું હતું
શનિવાર 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કોરોના રસી પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી હતી. પરંતુ કૃષિ કાયદાના વિરોધમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે આ વાહનને 12 કિમી વધુ ફરીને આવવું પડ્યું હતું. બુધવારે મમતા બેનર્જીના કેબીનેટ રાજ્ય પ્રધાન સિદ્દિકુલ્લા ચૌધરીની આગેવાની હેઠળ નેશનલ હાઇવે બંધ કરાયો હતો. આને કારણે બર્ધમાન જિલ્લામાં કોરોનાની રસી લઈ જતા વિશેષ વાહનને અટકાવવામાં આવ્યું હતું.