મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તામાં આવનાર કોંગ્રેસની સરકારને હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં સરકારમાં આંતરિક ગરબડના સંકેત મળી રહ્યા છે. દિગ્વિજય સિંહ (Digvijay Singh) પર પડદા પાછળ રહીને સરકાર ચલાવવાનો રાજ્યના વન મંત્રી ઉમંગ સિંધારે આરોપ મુક્યો છે.
આટલું જ નહીં પરંતુ રાજ્યના વન મંત્રી ઉમંગ સિંધારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ મામલે પત્ર લખીને દિગ્વિજય સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પત્રમાં આરોપ લગાવાયો છે કે દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર (MP CM Kamal Nath)ને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વન મંત્રી ઉમંગ સિંધારના કાકી જમૂના દેવી દિગ્વિજય સિંહની સરકારમાં ડેપ્યૂટી સીએમ (Deputy CM) હતા.
ઉમંગ સિંધારે પત્રમાં લખ્યું છે, 'મને એ કહેતા ખુબ જ દુ:ખ થઇ રહ્યું છે કે ખુદને સત્તાનું કેન્દ્ર સાબિત કરવાની કોશિશમાં દિગ્વિજય સિંહ હવે કમલનાથ સરકારને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યા છે. એમણે મંત્રીઓને પત્ર લખીને તેને સોશિયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે અને વિરોધીઓને મુખ્યમંત્રી કમલનાથ અને તેમની સરકારને નિશાન બનાવવાની તક આપી રહ્યા છે.'
રિપોર્ટ્સ મુજબ, હાલમાં જ દિગ્વિજય સિંહે મંત્રીઓને બતાવાયેલા કાર્યો અને અધિકારીઓને ટ્રાન્સફર-પોસ્ટિગ મામલે પોતાના સલાહ-સૂચન પર જાણકારી માંગી હતી. ગત 9 મહીનામાં કમલનાથ સરકાર જુથવાદનો સામનો કરી રહી છે. જે હંમેશાથી કોંગ્રેસની સમસ્યા રહી છે. વિધાનસભામાં મુશ્કેલીથી સરકાર બનાવ્યા બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી. છતા સ્થિતિ વધુ કથળતી જઇ રહી છે.
સિંધારે પોતાના પત્રમાં લખ્યું, 'રાજ્યમાં મંત્રી પોતાના મુખ્યમંત્રી પ્રત્યે જવાબ દેહ છે. સિંહ રાજ્યસભાના સભ્ય છે. એવામાં દિગ્વિજય સિંહનું ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે પત્ર લખવા યોગ્ય નથી. ત્યારે આગળ જતા બીજા સાંસદ પણ મુખ્યમંત્રીને પત્ર લખી શકે છે.