થોડા દિવસ પૂર્વે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું જોકે તેના બીજા જ દિવસે તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતી. આ રાજીનામાં પાછળ તેમની નારાજગી સામે આવી હતી. ત્યારબાદ પક્ષે વસાવાની માંગોને લઇને આશ્વાસન આપ્યું હતું. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાએ ધરેલા રાજીનામાંની અસર થઇ છે.
સાંસદ વસાવાના રાજીનામાંની થઈ અસર
નર્મદા ઇકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી કરાઈ રદ
વસાવા સરકાર પર દબાણ લાવવામાં સફળ!
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપી દીધું હતું. પરંતુ પક્ષ પ્રમુખે રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. ત્યારબાદ આજે મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે અડધો કલાકથી વધુ બેઠક મળી હતી. જેમાં મનસુખ વસાવાની લાગણી અને માંગણી અંગે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતાં અંતે મનસુખ વસાવા માની ગયાં હતાં અને રાજીનામું પરત ખેંચ્યું હતું. છેલ્લા કેટલાંક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યાં હતા. ત્યારે હવે નર્મદા ઇકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી રદ કરાઇ છે.
સાંસદ મનસુખ વસાવાએ ધરેલા રાજીનામાની અસર થઇ હોવાનું જણાઇ રહ્યું છે. ખેડૂતોની જમીનમાં નર્મદા ઇકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી કરાઈ રદ કરાઇ છે. નર્મદામાં હવે ખેડૂતોની જમીનમાં બોજા હક નહીં પડે. મહત્વનું છે કે, નર્મદામાં ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના સમર્થનમાં જ સાંસદ વસાવાએ રાજીનામું આપ્યું હતું. વસાવા રાજીનામાને લઈ પોતાની તબિયતનું કારણ આગળ ધરતા હતા. વસાવાના રાજીનામાનું સાચું કારણ નર્મદા ઈકો સેન્સેટિવ ઝોનને લઈ હતું. વસાવા આખરે સરકાર પર દબાણ લાવવામાં સફળ રહ્યા છે. સરકારે આખરે ખેડૂતોની જમીન પર ઇકો ઝોન રદ કર્યું છે.
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છેઃ વસાવા
મનસુખ વસાવાએ કહ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મનસુખ વસાવા નહિ હોય તો પાર્ટી નહિ ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી. વસાવાએ વધુમાં કહ્યું કે, હું વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરુ છું. આ વિસ્તારમાં કામ પણ થાય છે. જાતિ અંગેના પ્રમાણપત્રના પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. ઈકો સેન્સેટિવ ઝોનનો પ્રશ્ન કેન્દ્ર સરકારનો છે. આ મુદ્દે ભારત સરકારમાં રજૂઆત કરી છે. ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે સરકાર પ્રયત્નશીલ હતી. મેં કોઈને પ્રેશર આપવા રાજીનામું નથી આપ્યું.