મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા મહિલા કર્મચારીઓને ત્રીજી વાર માતા બનવા પર મેટરનિટી લીવ આપવાનો માર્ગ મોકળો કર્યો છે.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટનો મોટો ચુકાદો
હવે ત્રીજા બાળક માટે પણ મળશે મેટરનિટી લીવ
શિક્ષિકાએ કરી હતી અરજી
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા મહિલા કર્મચારીઓને ત્રીજી વાર માતા બનવા પર મેટરનિટી લીવ આપવાનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટે કહ્યું કે, જો મહિલા પુનર્વિવાહ કરે છે, તો ગર્ભધારણ કરવા પર મેટરનિટી લીવનો લાભ લઈ શકે છે. પછી ભલે તે પહેલા બે વાર મેટરનિટી લીવનો લાભ લઈ ચુક્યા હોય.
શિક્ષિકાએ ત્રીજા બાળક માટે રજા લેવા કરી અરજી
હાઈકોર્ટમાં જબલપુર જિલ્લાના પૌડી કલા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા પ્રિયંકા તિવારીએ એક અરજી દાખલ કરી હતી. અરજીમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્ન 2002માં થયા હતા અને 2018માં તેના છૂટાછેડા થયા. ત્યાર બાદ 2021માં ફરીથી લગ્ન કર્યા અને તે હવે ગર્ભવતી છે. પણ હાલના નિયમ અનુસાર ફક્ત બે વાર મેટરનિટી લીવ લઈ શકાય છે. તેના કારણે તે ત્રીજી વાર મેટરનિટી લીવ લઈ શકે નહીં. પ્રિયંકા તિવારીએ અરજીમાં આગળ કહ્યું કે, જો કોઈ મહિલા કર્મચારી છૂટાછેડા બાદ ફરી વાર લગ્ન કરે છે, તો તેને ફરી વાર મેટરનિટી લીવની હકદાર હોવી જોઈએ.
શાળા-શિક્ષણ વિભાગને કોર્ટે આપ્યો નિર્દેશ
ચીફ જસ્ટિસ રવિ વિજય કુમાર મલિમઢ અને જસ્ટિસ પીકે કૌરવની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. આ દરમિયાન શિક્ષિકા પ્રિયંકા તિવારીએ પોતાની અરજી સાથએ આ પ્રકારની સ્થિતિમાં હરિયાણા હાઈકોર્ટના આદેશની એક કોપી રજૂ કરી હતી. કોર્ટે એવું પણ જાણ્યું કે, રાજ્ય સરકારે હજૂ સુધી અરજીનો જવાબ આપ્યો ન થી. સ્થિતિની ગંભીરતા જોતા હાઈકોર્ટે પોતાના વચ્ચગાળાના આદેશમાં સ્કૂલ અને શિક્ષણ વિભાગને કહ્યું કે, પ્રિયંકા તિવારીને ત્રીજી વાર મેટરનિટી લીવ આપવામાં આવે.
હાલામં આવો છે નિયમ
મધ્ય પ્રદેશમાં 15 જૂન 2018ના રોજ જાહેર કરવામાં આવેલા રાજપત્રમાં મહિલા કર્મચારીને બે વાર 180-180 દિવસની મેટરનિટી લીવ મળી શકે છે. કર્મચારી ઈચ્છે તો, છુટક રજા પણ લઈ શકે છે. આ દરમિયાન કર્મચારીને વેતન સાથે તમામ લાભ પણ મળતા રહેશે.