જે વ્યક્તિને કોરોના કાળમાં કોરોના યોદ્ધા તરીકે બિરદાવવામાં આવ્યો તેને જ આજે સરકાર આરોપી ઠેરવીને ફટકારી રહી છે 85 કરોડનો દંડ. જી હા આ વાત છે મધ્યપ્રદેશના ગ્વાલિયરની . જ્યાં એરપોર્ટ પર ગત વર્ષે વિમાન દુર્ઘટના થઇ હતી. જેમાં રાજ્ય સરકારે પાયલટને 85 કરોડ રુપિયાની નોટિસ ફટકારી દીધી છે. આ એ વખતની વાત છે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી. આવી કપરી સ્થિતિમાં આ પાયલટ દવાઓ અને ઇન્જેક્શન લઇને ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યો હતો.
કેપ્ટન માજિદ અખ્તરને દંડ
કોરોના કાળ દરમિયાન સરાહનીય કાર્ય કરવા બદલ કેપ્ટન માજિદ અખ્તર કોરોના યોદ્ધા કહેવાયો હતો ત્યારે હવે એજ કેપ્ટનને રાજ્ય સરકારે 85 કરોડ રુપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે.
ઓગષ્ટ 2021માં બની હતી આ ઘટના
મધ્ય પ્રદેશ સરકારના રાજ્ય વિમાન (B-200GT/VT MPQ)ના અકસ્માતના મામલામાં એમપી સરકારે એરક્રાફ્ટના પાઇલટ કેપ્ટન માજિદ અખ્તર સામે આરોપો લગાવ્યા છે. અકસ્માત માટે તેને દોષિત માનીને સરકારે 85 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ આપી છે. જવાબ આવ્યા બાદ સરકાર હવે તેમની પાસેથી વસૂલાત અંગે નિર્ણય લેશે. દુર્ઘટના પછી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઓગસ્ટ 2021 માં જ પાઇલટ માજિદ અખ્તરનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.
શું લખવામાં આવ્યુ નોટિસમાં
આ નિર્ણય પહેલા પાયલટને આપવામાં આવેલી નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આ વિમાનના સમારકામ પર અત્યાર સુધીમાં લગભગ 23 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે સરકારને 85 કરોડનું નુકસાન થયું છે. કેપ્ટન માજિદને જારી કરાયેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ બેદરકારીને કારણે થયેલા નુકસાનની ભરપાઈ તમારા જોડેથી જ કેમ ન કરવામાં આવે.