નલિયામાં ગત નવમી એપ્રિલે ઘરમાં જ મૃત હાલતમાં મળેલાં સાત વર્ષના અમન નામના માસુમ બાળકના ભેદી મોતનો તાગ અંતે પોલીસે એક પખવાડિયામાં મેળવી લીધો છે. અમનનું મોત કોઈ ઝેરી જીવજંતુ કરડવાથી નહીં પણ શ્વાસ રૂંધાવાથી થયું હતું. આ કરતૂત બીજા કોઈએ નહીં પણ તેની સગી જનેતાએ આચર્યું હતું. નલિયા પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી લઈ બે દિવસના રીમાન્ડ પર લીધી છે.
9મી એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં સાત વર્ષના અમનની ઘરમાં સૂતેલી હાલતમાં લાશ મળી હતી. મૃતક અમનનો પિતા ધનેજર યાદવ મૂળ બિહારનો વતની છે. ધનેજર સિમેન્ટ-કોંક્રિટ મિક્સરનો ડ્રાઈવર કામ કારીગર છે. ધનેજર તેની પત્ની અને પુત્ર સાથે નલિયામાં વોરા મસ્જિદ પાસે આવેલા વોરા ફળીયામાં રહે છે. બનાવ બન્યો તેના 8 દિવસ અગાઉથી તે કામસર પોરબંદર ગયો હતો અને ત્રણ મહિના સુધી તે ત્યાં જ રહેવાનો હતો. ઘરે અમન, તેની પાંચ મહિનાની બહેન અને 26 વર્ષિય માતા ગુંજાસિંહ હતા.
તેની માતાએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે, સાંજે ચાર વાગ્યાના અરસામાં અમન જમ્યા બાદ જમીન પર સૂઈ ગયો હતો. સાંજે 7 વાગ્યા સુધી તે સૂતો જ રહ્યો હતો. દરમિયાન, સાંજે પડોશમાં રહેતી એક મહિલા અમનને બોલાવવા આવી હતી. તે સમયે તેણે અને તેની માતાએ અમનને ઉઠાડતાં તે ઉઠ્યો નહોતો. બંનેની રાડારાડના પગલે અડોશપડોશના લોકો એકઠાં થઈ ગયા હતા અને અમનને હોસ્પિટલે લઈ ગયાં હતા. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તબક્કે સહુ કોઈ અમનને કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હોઈ તે મૃત્યુ પામ્યો હોવાનું માનતું હતું.
જો કે, તબીબે કોઈ જંતુ કરડ્યું ના હોવાનું જણાવી અમનના મોતનું કારણ ભેદી હોવાનું જણાવતાં નલિયા પોલીસે અમનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મેડિકલ કોલેજ મોકલી આપ્યો હતો. મેડીકલ રીપોર્ટમાં અમનનું મોત આકસ્મિક નહીં પરંતુ કોઈએ તેનું મોઢું કે ગળું દબાવી શ્વાસ રૂંધી નાખ્યો હોઈ થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે 17મી એપ્રિલે અજ્ઞાત શખ્સ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસને અમનની માતા પર હતી શંકા...
નલિયા પોલીસને શરૂઆતથી જ અમનની માતા પર શંકા હતી. કારણ કે, બનાવ ઘરની અંદર બન્યો હતો અને અમન સાથે તેની માતા સિવાય બીજું કોઈ હતું નહીં. પોલીસે ગુંજાસિંહની સઘન પૂછપરછ કરી પણ તે હત્યાનો ગુનો કબૂલતી નહોતી. પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, ધનેજર અને ગુંજાસિંહ બંને પ્રેમી-પ્રેમિકા છે. પરિણીત ગુંજાસિંહના લગ્ન મૂળ બિહારના સારન જિલ્લાના શાંતિવન ગામના ચંદનસિંગ સાથે થયા હતા. અમન ચંદનસિંગનો પુત્ર હતો.
પરંતુ, ગુંજાસિંહને ધનેજર સાથે આંખ મળી ગઈ હતી. જેથી ગત ફેબ્રુઆરી 2018માં તે સાસરેથી પુત્ર અમનને લઈ પહેરેલે લુગડે નલિયા રહેતા પ્રેમી પાસે દોડી આવી હતી. ધનેજર અને ગુંજાસિંહે પોતાને પતિ-પત્ની તરીકે ઓળખાવી નલિયામાં મકાન ભાડે રાખ્યું હતું. ધનેજર સાથેના લગ્નજીવન દરમિયાન તે એક પુત્રીની માતા પણ બની છે.
પુત્રની જીદના કારણે ગુંજાસિંહને મનમાં બીક પેઠી હતી કે...
જો કે, સાત વર્ષનો માસુમ અમન પોતાના પિતા અને વતનને ભૂલ્યો નહોતો. તે અવારનવાર માતાને પિતા પાસે શાંતિવન લઈ જવાની જીદ કર્યા કરતો હતો. પુત્રની જીદના કારણે ગુંજાસિંહને મનમાં બીક પેઠી હતી કે અમન ક્યાંક મોટો થઈ ચંદનસિંગ પાસે જતો રહેશે ને તેનો ભાંડો ફોડી નાખશે. પુત્રની સતત જીદથી વાજ આવી ગયેલી ગુંજાસિંહે આખરે 9મી એપ્રિલે અમનનું ગળું દબાવી તેમજ સાડીના ફોલ વડે તેનું મોઢું-નાક દબાવી રાખી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ જાણે કશું જ ના બન્યું હોય તેમ પાંચ મહિનાની પુત્રીને ઘર બહાર લઈ રમાડવા માંડી હતી. 17 એપ્રિલે હત્યાની ફરિયાદ દાખલ થઈ હતી. તેના સળંગ એક અઠવાડિયા સુધી પોલીસે અવિતરણપણે ગુંજાસિંહની સતત પૂછપરછ જારી રાખી હતી. આખરે હત્યારી જનેતા પડી ભાંગી હતી અને તેણે પુત્રની હત્યાનો ગુનો કબૂલી લીધો છે.